બિહારના લખીસરાય જિલ્લામાં મંગળવારે અમંગળ ઘટના ઘટી હતી. એક અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા જે સુશાંત સિંહ રાજપૂતના સગા છે તેવું સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે.
સુશાંતના 5 સંબંધીનું એક્સિડન્ટમાં મોત
બિહારના લખીસરાય હાઇવે પર ઘટી ઘટના
મંગળવારે સવારે 6 વાગે થયો અકસ્માત
મળતી માહીતી અનુસાર લખીસરાયના સિકન્દરા-શેખપુરા NH-333 પર મંગળવારે સવારે 6 વાગે ટ્રક અને સુમો વચ્ચે ટક્કર થઇ ગઇ હતી. બધા જ મૃતક જમુઇ જિલ્લાના રહેવાસી કહેવામાં આવ્યા છે. ટ્રક પર LPG સિલિન્ડર હતુ. સુશાંતના બનેવીના બનેવી અને તેમનો પરિવાર હતો. પોસ્ટમોર્ટમ માટે લખીસરાય સદર હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. ઘાયલોની ગંભીર સ્થિતિ જોતા તેમને પટના રિફર કરવામાં આવ્યા છે. ડૉક્ટર્સના કહ્યાં અનુસાર તેમની હાલત પણ ખુબ ગંભીર છે.
અંતિમ સંસ્કારમાં સામેલ થવા પટના ગયા હતા
મળતી માહિતી મુજબ સુમોમાં સવાર તમામ 10 લોકો એક જ પરિવારના હતા. જમુઈના સાગદહા ભંડારા ગામના લાલજીત સિંહની પત્ની ગીતા દેવીના અગ્નિસંસ્કાર કરીને તે ગામ પરત ફરી રહ્યો હતો. અકસ્માતમાં ગીતા દેવીના પતિ લાલજીત સિંહ, મોટો પુત્ર અમિત શેખર ઉર્ફે નેમાની સિંહ, નાનો પુત્ર રામચંદ્ર સિંહ, પુત્રી બેવી દેવી, ભત્રીજી અનીતા દેવી અને ડ્રાઈવર પ્રિતમ કુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો લાલજીત સિંહની પત્નીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પટના ગયા હતા. પરિવારના કુલ 15 સભ્યો ત્યાંથી બે વાહનોમાં પરત ફરી રહ્યા હતા. તેમાંથી એક ટાટા સુમો અકસ્માતનો શિકાર બની હતી. ડ્રાઈવર ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના સોનપેનો હોવાનું કહેવાય છે, જ્યારે બાલ્મિકી સિંહ અને પ્રસાદ કુમારની હાલત નાજુક હોવાનું કહેવાય છે, જેમને સિકંદરામાં પ્રાથમિક સારવાર બાદ વિશેષ સારવાર માટે પટના મોકલવામાં આવ્યા છે.
મૃતકોમાંથી 5 સુશાંત સિંહ રાજપૂતના સગા હતા
અકસ્માતમાં જીવ ગુમાવનારા 6માંથી 5 લોકો દિવંગત ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના સંબંધીઓ હોવાનું કહેવાય છે. તેની સાથે કાર ચાલકનું પણ મોત થયું હતું. અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં એક સુશાંતના બનેવીનો બનેવી હતો, જે હરિયાણામાં ADGP તરીકે ફરજ બજાવતો હતો. મૃતકોમાં બે ભત્રીજા અને અન્ય બે સંબંધીઓ પણ સામેલ છે. લખીસરાયના એસપી સુશીલ કુમારે જણાવ્યું કે આ ઘટના જિલ્લાના હલસી પોલીસ સ્ટેશન વિસ્તારના પિપરા ગામની અપગ્રેડ મિડલ સ્કૂલ પાસે બની હતી. મંગળવારે સવારે NH-333 પર ટ્રક અને સુમો ગોલ્ડ વાહનની ટક્કર થતાં ટાટા સુમોમાં સવાર 10માંથી 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. તે જ સમયે, 4 ગંભીર રીતે ઘાયલ છે, જેમાંથી બેને પટના મોકલવામાં આવ્યા છે.