સુશાંતની આત્મહત્યાના કેસમાં પોલીસ સતત તપાસ કરી રહી છે અને દરેક એંગલથી આ કેસને સમજવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધી 30 જેટલા લોકોનું નિવેદન નોંધ્યું છે. જેથી તેઓ સુશાંતની આત્મહત્યાની ગુત્થીનો ઉકેલ લાવી શકે છે. ત્યારે હાલમાં જ પોલીસે સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ની કોસ્ટાર સંજના સાંઘીનું નિવેદન નોંધ્યું છે. સંજનાએ પોલીસ નિવેદનમાં કેટલીક ચોંકાવનારી વાતો જણાવી છે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં મીટૂ મૂવમેન્ટને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી અને ઈન્ડસ્ટ્રીમાં ઘણી દિગ્ગજ હસ્તીઓ પર આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે એવી અફવા ઉડી હતી કે સુશાંતે તેની ફિલ્મની કોસ્ટાર સંજના સાંધીને ખોટી રીતે ટચ કરી હતી અને તેની પર આવા આરોપ લગાવવામાં આવ્યા હતા. જેના કારણે સુશાંતને ઘણાં મીડિયા ટ્રાયલ્સનો સામનો કરવો પડ્યો હતો અને તેને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. જોકે, પછી સંજનાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, તેણે સુશાંત પર એવો કોઈ આરોપ લગાવ્યો નથી અને આ તમામ વાતો માત્ર અફવાઓ છે.
હવે સંજનાએ પોલીસને આ આરોપોથી જોડાયેલી જાણકારી આપી છે. રિપોર્ટ્સ મુજબ તેણે જણાવ્યું કે, જે સમયે સુશાંત પર મીટૂના આરોપ લાગ્યા ત્યારે તે ભારતમાં નહોતી. તે તેના પરિવાર સાથે યૂએસ ટૂર પર હતી અને તેને આ બધાં વિશે કોઈ જાણકારી નહોતી. સંજનાએ કહ્યું કે, ભારત પરત આવતા જ જ્યારે તેને આ બધી વાતોની જાણ થઈ તો તેણે તરત આ આરોપોનું ખંડન કર્યું હતું.
સંજનાએ પોલીસને જણાવ્યું કે, જ્યાં સુધી તે ભારત પરત આવી ત્યાં સુધી તો સુશાંતને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. જોકે, તે સુશાંત સાથે એકદમ નોર્મલ હતી, કારણ કે તે જાણતી હતા કે આ બધી માત્ર અફવાઓ છે અને આમાં કોઈ સચ્ચાઈ નથી. પરંતુ સુશાંત આ આરોપોથી ઘણો પ્રભાવિત થયો હતો અને અપસેટ થઈ ગયો હતો. સંજનાએ જણાવ્યું કે તે વધુ કંઈ કહેતો નહોતો. જોકે, થોડાં સમય બાદ તે પણ ધીરે-ધીરે નોર્મલ થવા લાગ્યો હતો અને ફિલ્મની શૂટિંગ દરમિયાન તેણે સંજનાની ખૂબ મદદ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુશાંતની આત્મહત્યાથી દુઃખી સંજનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને સુશાંતના જવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ સુશાંતને એક સારો વ્યક્તિ અને શ્રેષ્ઠ કલાકાર ગણાવ્યો હતો.