જાણીતા ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના આપઘાતને લઇને સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ છે અને ખૂદ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે શરૂઆતના તબક્કામાં સુશાંતનું મોત એક આત્મહત્યા ગણાવવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવી છે. જેમાં સુશાંતના મોત સાથે જોડાયેલ અનેક બાબતો આલેખવામાં આવી છે.
સુશાંત સિંહ રાજપૂતનો ફાઇનલ પોસ્ટ રિપોર્ટ જાહેર
શ્વાસ લેવામાં પડેલી તકલીફને કારણે સુશાંતનું મોત
પોલીસને સોંપાયેલા રિપોર્ટ પ્રમાણે, સુશાંતે ગળેફાંસો લગાવ્યો હતો અને આ કારણે તેનું શ્વાસ રૂંધાવાથી મોત નિપજ્યું છે. એક્ટરના કેટલાક જરૂરી અંગો(વિસરા) કેમિકલ તપાસ માટે સંભાળીને રાખવામાં આવ્યા છે.
5 ડોક્ટરોએ સાઇન કર્યો રિપોર્ટ
જણાવામાં આવ્યું છે કે, આ પહેલા જે પ્રોવિઝનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતો તેને 3 ડોક્ટર દ્વારા સાઇન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે આવેલ ફાઇનલ રિપોર્ટ 5 ડોક્ટર દ્વારા સાઇન કરવામાં આવ્યો છે અને તેને તૈયાર થતાં પહેલા ખાસ તપાસણી કરવામાં આવી છે.
શ્વાસ લેવામાં પડેલી તકલીફને કારણે સુશાંતનું મોત
રિપોર્ટમાં એ પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે સુશાંતના શરીરને કોઈ બાહ્ય ઈજા થઈ નથી. તેના નખ પણ ખૂબ સાફ હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતના મોતનું કારણ આત્મહત્યા કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં અભિનેતાના મોતનાં કારણો પર કોઈ પણ પ્રકારના સવાલો ઉભા થયા નથી.
પોલીસે કર્યા ઘટસ્ફોટ
મુંબઈ પોલીસે પણ તેની કાર્યવાહીમાં અનેક ઘટસ્ફોટ કર્યા છે. સુશાંતના મૃત્યુને પહેલા ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના અવસાન સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે હવે આવા જોડાણને નકારી કાઢ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ દિશા સુશાંતને ફક્ત એક જ વાર મળી હતી, તેથી આ જોડાણ શક્ય નથી.
સુશાંતની ખાસ મિત્ર અને અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે નોંધાઇ ફરિયાદ
અભિનેત્રી રિયા ચક્રવર્તી પર મોટો આરોપ લગાવતા કહેવામાં આવ્યું છે કે તેણે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. મુઝફ્ફરપુરના રહેવાસી કુંદન કુમારે રિયા ચક્રવર્તી પર આ મોટો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે શનિવારે સીજેએમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી છે. આ મામલે 24 જૂને સુનાવણી યોજાશે.
બોલિવૂડના દિગ્ગજો પણ મુશ્કેલી વધી
આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસે રિયા ચક્રવર્તીની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. તેણી સુશાંતની ખૂબ નજીક હોવાથી, આવી સ્થિતિમાં સુશાંતે આત્મહત્યા કેમ કરી તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, થોડા દિવસો પહેલા બીજા વકીલે બોલીવુડ સ્ટાર્સ વિરુદ્ધ અરજી કરી હતી. આ યાદીમાં કરણ જોહરથી લઈને એકતા કપૂર સુધી ઘણા દિગ્ગજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે બધા પર સુશાંતની કારકિર્દી બગાડવાનો આરોપ હતો.