સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસમાં બાન્દ્રા પોલીસ આ કેસની ગુત્થીનો ઉકેલ લાવવા માટે 35થી વધુ લોકોનું નિવેદન નોંધી ચૂકી છે. જેમાં સુશાંતના પરિવારજનો સિવાય તેના નજીકના મિત્ર, ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા, તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની કો-સ્ટાર સંજના સાંઘી અને યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા સહિત ઘણાં લોકો સામેલ છે. આ મામલે મુબંઈ પોલીસે ગયા અઠવાડિયે સલમાન ખાનની એક્સ મેનેજર રેશ્મા શેટ્ટીની પણ પૂછપરછ કરી હતી. હવે એવું કહેવાઈ રહ્યું છે કે, પોલીસ સલમાન ખાનની પણ પૂછપરછ કરી શકે છે. જોકે, હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે, પોલીસ સલમાનની આ મામલે કોઈ પૂછપરછ કરશે નહીં.
પોલીસ સુશાંતના કેસની ગુત્થીનો ઉકેલ લાવવા મથી છે
પોલીસે હાલમાં જ સલમાનની એક્સ મેનેજર રેશ્માથી પૂછપરછ કરી હતી
મળતી માહિતી મુજબ, ડીસીપીએ સલમાનથી પૂછપરછ ચાલી રહી હોવાના સમાચારોનું ખંડન કર્યું છે. સુશાંતના નિધન બાદ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે સુશાંત જેવો ટેલેન્ટેડ એક્ટર ઈન્ડસ્ટ્રીના લોકોથી હતાશ થઈને ડિપ્રેશનનો શિકાર થયો અને પછી તેણે આવું પગલું ભરી લીધું. સુશાંત કેસમાં સલમાનથી જોડાયેલી ઘણી અફવાઓ અને ષડયંત્રના કિસ્સા સોશિયલ મીડિયા પર પહેલાં જ દિવસથી ચર્ચામાં છે. આ અફવાઓમાં એક કિસ્સો સૂરજ પંચોલી અને સુશાંતની એક્સ મેનેજર દિશા સાલિયનનો પણ હતો.
બિહારના મુઝફ્ફરપુરમાં સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે સલમાન ખાન, કરણ જોહર, આદિત્ય ચોપડા અને અન્ય જાણીતી હસ્તીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ હસ્તીઓ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ અને પક્ષપાતને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ કુમારે સ્થાનિક એડવોકેટ સુધીરકુમાર ઓઝા દ્વારા દાખલ કરેલી અરજીને રદ્દ કરતા કહ્યું હતું કે આ મામલો કોર્ટના અધિકારક્ષેત્રની બહારનો છે.
તમને જણાવી દઇએ કે એક મહિના પહેલાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેના બાંદ્રાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી. સુશાંતની છેલ્લી ફિલ્મ આ મહિને 24 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે.