સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના રહસ્યને ઉકેલવા માટે મુંબઈ પોલીસ હાલ કામ પર લાગેલી છે. તેની અચાનક થયેલી મોતે ઘણાં સવાલો ઊભાં કરી દીધાં છે. જેમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આખરે સુશાંતને આ પગલું ભરવું કેમ પડ્યું. સુશાંતની મોત બાદ પોલીસ તેના પરિજનોની પૂછપરછમાં લાગેલી છે.
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસ
સુશાંતની મોત બાદ પોલીસ તેના પરિજનોની પૂછપરછ કરી
રિયા ચક્રવર્તીને પોલીસે પોલીસ સ્ટેશન બોલાવી
ગુરુવારે બૉલીવુડ એક્ટ્રેસ અને સુશાંતની દોસ્ત રિયા ચક્રવર્તીને પોલીસે પોલીસ સ્ટેશન બોલાવી હતી. રિયા ગુરુવારે બાંદ્રા સ્થિત પોલીસ સ્ટેશન પહોંચી જેના બાદ તેની 9 કલાક ત્યાં પૂછપરછ ચાલી હતી. હવે રિયાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી લેવાયું છે. જો કે તે મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં જ હતી તેવા સમાચાર મળી રહ્યાં છે.
રવિવારે 14 જૂને સુશાંતે મુંબઈમાં બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા અહેવાલો અનુસાર તે ડિપ્રેશનથી ઝઝૂમી રહ્યો હતો. તેની અચાનક મોત બાદ મુંબઈ પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આખરે સુશાંતે આત્મહત્યા કરી કેમ. જ્યારે બીજી બાજુ સુશાંતની PR એક્ટવિટિઝ હેન્ડલ કરનારી રાધિકા નિહલાની અને પૂર્વ મેનેજર શ્રુતિ મોદીનું પણ નિવેદન નોંધ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવામાં આવ્યાં હતાં. જેમાં સુશાંતના પરિવાર સહિત રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, ક્રિતી સેનન, રાજકુમાર રાવ, વિવેક ઑબેરોય અને વરુણ શર્મા જેવા કલાકારો પહોંચ્યા હતા.
ગુરુવારે તેના પરિજનોએ પટનામાં તેમની અસ્થિઓ વિસર્જન કર્યુ છે. સુશાંતની બહેન કિર્તીએ આ વાતની જાણકારી પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા સુશાંતના ફેન્સને આપી હતી. માહિતી અનુસાર સુશાંત સિંહ રાજપૂતે 13 જૂનની રાતે રિયાને ફોન કર્યો હતો. જો કે તેણે ફોન ઉઠાવ્યો ન હતો. તેઓ બંને સંબંધોમાં હોવાની ખબર ઘણાં લાંબા સમયથી આવી રહી હતી.