સુશાંત સિંહ રાજપૂતનું નિધન 14 જૂને તેના બાંદ્રાના ફ્લેટમાં થયું હતું. સુશાંતના અચાનક જવાના કારણે પરિવારના સભ્યો તેના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. સુશાંતની ખોટ તેમની બહેનોને આજે રક્ષાબંધનના દિવસે વર્તાઈ રહી છે. બહેન આજે ભાઈને યાદ કરી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે હવે તેઓ સુશાંતને રાખડી બાંધી શકશે નહીં. તેનું દુઃખ બહેન રાનીએ ઈમોશનલ નોટથી વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું કે આજે 35 વર્ષમાં પહેલી વાર અમારી પાસે એ હાથ નથી જેને અમે રાખડી બાંધી શકીએ.
35 વર્ષ બાદ આજે પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે પૂજાની થાળી તૈયાર છે અને આરતીનો દીવો પણ પ્રગટી રહ્યો છે. હળદર ચંદનનું તિલક અને મીઠાઈ તૈયાર છે, રાખડી પણ છે પણ બસ એ ચહેરો નથી જેની આરતી ઉતારી શકું, એ લલાટ નથી જ્યાં તિલક કરી શકું, એ કાંડું નથી જેની પર રાખડી બાંધી શકું અને એ મોઢું નથી જેને મીઠાઈ ખવડાવી શકું. એ માથું નથી જેને ચૂમી શકું અને એ ભાઈ નથી જેને ગળે લગાવી શકું.
વર્ષો પહેલાં જ્યારે તું આવતો ત્યારે અમારું જીવન ઝગમગી જતું. જ્યારે હતો ત્યારે અજવાળું જ હતું. જ્યારે તું નથી તો મને ખબર નથી પડતી કે શું કરું. તારા વિના મને જીવવાનું આવડતું નથી. ક્યારેય વિચાર્યુ ન હતું કે આવું પણ થશે. એવો દિવસ આવશે કે તું નહીં હોય. તારા વિના હું કેવી રીતે રહું. તું જ કહે.
હંમેશા તારી
રાની દી
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહના સુસાઈડને લઈને 2 રાજ્યોની પોલીસ તપાસ કરી રહી છે. બિહાર પોલીસ કેસની તપાસ માટે મુંબઈ પહોંચી છે. જ્યાં પહેલાંથી મુંબઈ પોલીસ પણ તપાસ કરી રહી છે. બંને રાજ્યોની પોલીસની તપાસ વચ્ચે સુશાંત કેસને લઈને ખેંચતાણ ચાલી રહી છે. સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર ન્યાય અને સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે.