બોલિવૂડના ટેલેન્ટેડ અને ખૂબ જ ઓછાં સમયમાં સફળતા પ્રાપ્ત કરનારા એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના આ પગલાંથી સમગ્ર બોલિવૂડ હચમચી ઉઠ્યું છે. રવિવારે તેની લાશ પંખા પર લટકેલી હાલતમાં મળી આવી. આત્મહત્યાનું કારણ હજી સુધી ખબર પડ્યું નથી. સુશાંતે સોશિયલ મીડિયા પર છેલ્લી પોસ્ટ તેની માતા માટે લખી હતી.
સુશાંતના નિધનથી બોલિવૂડ હચમચી ગયું
સુશાંતે છેલ્લી પોસ્ટ તેની માતા માટે લખી હતી
એવું કહેવાય છે કે, સુશાંત 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો
સુશાંતે ઈન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટમાં લખ્યું- આંસુઓથી ધૂંધળા ભૂતકાળનું બાષ્પીભવન થઈ રહ્યું છે. સ્મિતના એક આર્કની કોતરણી કરતાં સપના અને ક્ષણભંગુર જીવન. બંને વચ્ચેની વાતચીત. તમને જણાવી દઈએ કે, સુશાંત જ્યારે 16 વર્ષનો હતો ત્યારે તેની માતાનું નિધન થઈ ગયું હતું. સુશાંત માતાની ખૂબ નજીક હતો અને અવારનવાર તેમની સાથેની તસવીરો
શેર કરતો હતો.
તમને જણાવી દઈએ કે, સુશાંત ઘરે એકલો રહેતો હતો. તેના સુસાઈડને લઈને પોલીસ પાડોશીઓનું નિવેદન લઈ રહી છે. એક ચર્ચા પ્રમાણે, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો. પરંતુ તે આત્મહત્યા જેવું પગલું ભરી લેશે તેનો કોઈને ખ્યાલ નહોતો. એવા સમાચાર મળ્યા છે કે, તેના મિત્રો સવારે દરવાજો તોડીને રૂમમાં ગયા તો સુશાંત સિંહ પંખા પર લટકેલી હાલતમાં મળી આવ્યો. ત્યારબાદ તરત જ પોલીસને તે અંગે જાણકારી આપવામાં આવી.
વર્કફ્રંટની વાત કરીએ તો સુશાંતે તેના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. સુશાંતની પહેલી સીરિયલ કિસ દેશ મેં હે મેરા દિલ હતી. પણ તેને ઓળખ પવિત્ર રિશ્તા સીરિયલથી મળી. ત્યારબાદ તેણે કાઈ પો છે, એમએસ ધોની, કેદારનાથ, છિછોરે જેવી હિટ ફિલ્મો આપી. સુશાંત મુકેશ છાબરાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ દિલ બેચારામાં સંજના સંઘાણી સાથે જોવા મળવાનો હતો.