સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ હવે સીબીઆઈ કરશે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં રિયા ચક્રવર્તીની અરજી ફગાવી દીધી છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, શું રિયા ચક્રવર્તીની ધરપકડ કરી શકે છે સીબીઆઈ?
સુશાંતનો કેસ સીબીઆઈને સોંપાયો
સુપ્રીમ કોર્ટે રિયાની અરજી ફગાવી દીધી
હવે સીબીઆઈ આ પગલાં લઈ શકે છે
સીબીઆઈ આ મામલે પહેલાંથી જ એફઆઈઆર નોંધી ચૂકી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સીબીઆઈની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ હવે મુંબઈ જશે. સીબીઆઈની ટીમ મુંબઇ પોલીસ પાસેથી કેસ ડાયરી માંગશે. આ સિવાય સીબીઆઈ શંકાસ્પદ લોકો અને સાક્ષીઓના નિવેદનો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ પણ કબજે કરશે.
સીબીઆઈની ટીમ સુશાંતના ફ્લેટમાં પણ જશે, જ્યાં સુશાંતે આત્મહત્યા કરી હતી. તે ક્રાઈમ સીન જોશે અને તેને રિક્રિએટ પણ કરશે. સુશાંતની ફાંસીના સમયે તેના ફ્લેટમાં જે લોકો હાજર હતા, સીબીઆઈ એ લોકોનું નિવેદન લેશે અને પૂછપરછ માટે રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, પિતા ઈન્દ્રજિત અને અન્યોને સમન્સ મોકલશે અને પછી નિર્ણય લેશે કે આમાંથી કોઈની પણ ધરપકડ કરવામાં આવે કે નહીં.
સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર એસઆઈટીની ટીમ મુંબઇ યુનિટના સંપર્કમાં છે. મુંબઈ પહોંચ્યા બાદ નવો પંચનામા દાખલ કરવામાં આવી શકે છે, આ ઉપરાંત ફરીથી સર્ચ ઓપરેશન ચાલશે. સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવા માટે એક નવી જગ્યા શોધવામાં આવી રહી છે, કારણ કે સીબીઆઈની મુંબઈ ઓફિસમાં 25 કોરોના કેસ મળી આવ્યા હતા, જેના કારણે આ ઓફિસ બંધ છે.
તમને જણાવી દઈએ કે, રિયા ચક્રવર્તીએ શરૂઆતમાં આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી, આ માટે તેણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ટેગ કરતા સોશ્યલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. પરંતુ આ સમગ્ર કેસમાં બિહાર પોલીસની એન્ટ્રી થયા બાદ રિયા ચક્રવર્તીએ કેસ સીબીઆઈ અથવા બિહાર પોલીસને સોંપવાનો ઇનકાર કર્યો હતો.