અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રાજકીય નિવેદનો આવી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. ત્યારે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ મામલે મોરચો સંભાળી લીધો છે. સીએમ ઠાકરેએ કહ્યું કે હું એવા લોકોની ટીકા કરવા માગુ છું જે પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મુંબઇ પોલીસ અસર્મથ નથી. જો કોઇ પાસે આ મામલે કોઇ પૂરાવો હોય તો અમારી પાસે લઇને આવો અમે પૂછપરછ કરીશું. દોષિતોને સજા આપીશું. પરંતુ કૃપા કરી આ મામલે મહારાષ્ટ્ર અને બિહાર બંને રાજ્ય વચ્ચે વિવાદ ઉભો કરવા માટે તેનો ઉપયોગ ન કરો.
આ અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સુશાંત સિંહ કેસમાં રાજ્ય સરકાર લાપરવાહી બતાવી રહી છે. જેના પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વિપક્ષ ઇન્ટરપોલ અથવા નમસ્તે ટ્રમ્પના ફોલોઅર્સને પણ તપાસ માટે લાવી શકે છે.
સીએમ ઠાકરેએ ફડણવીસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ફડણવીસે સમજવું જોઇએ કે આ એ જ પોલીસ છે જેમની સાથે તેઓએ પાંચ વર્ષ કામ કર્યું છે. આ એ જ પોલીસ છે જેમણે કોરોનાની સાથે લડાઇ દરમિયાન ઘણા બલિદાન આપ્યાં છે.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સુશાંતના મૃત્યુ પર રાજનીતિ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સીએમ ઠાકરેએ કહ્યું કે અમે સુશાંતના પરિવારજનો, ચાહકોની ભાવનાઓને સમજીએ છીએ. પરંતુ હું આ બધાને અપીલ કરુ છું કે તેઓ ભાવનાઓને વ્યક્ત કરે પરંતુ અજાણતાં આ મુદ્દાને લઇને રાજનતી કરનારાઓનો ભાગ ન બને.