IPLનાં 2020 સિઝનમાં સુર્યકુમાર યાદવે ખૂબ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તે સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં કેપ્ટન વિરાટ કોહલી સાથેની તેની તકરાર પણ ખૂબ ચર્ચાઓમાં રહી હતી. તે ઘટનાને ઘણો સમય થઈ ગયો છે અને હવે તે તકરારને ભૂલીને બંને ખેલાડીઓ એક સાથે રમતા જોવા મળશે.
આઈપીએલ 2020માં વિરાટ અને સુર્યકુમાર વચ્ચે થઈ હતી તકરાર
વિરાટ અને સુર્યકુમાર એકબીજાને ગુસ્સાની નજરે જોતા હતા
સુર્યકુમાર યાદવને ઈંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યુ છે. યાદવ હવે વિરાટ કોહલીનાં નેતૃત્વમાં રમતો જોવા મળશે. સુર્યકુમાર યાદવ માટે આઈપીએલ 2020ની સિઝન ખૂબ શાનદાર રહી હતી. તેણે 15 મેચોમાં 480 રન બનાવ્યા હતા તે ઉપરાંત યાદવને આઈપીએલ અને ડોમેસ્ટીક ક્રિકેટમાં સતત સારુ પ્રદર્શન કરવા માટે ઈનામ મળ્યું છે.
કોહલી સાથે થયો હતો વિવાદ
સુર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં તકરાર થઈ હતી. સુર્યકુમાર યાદવની બેટીંગ દરમિયાન વિરાટ સતત તેની પાસે આવીને તેને ખુન્નસમાં જોતો હતો. પણ સુર્યકુમાર ગુસ્સે નહોતો ભરાયો અને તે સતત વિરાટને ઈગ્નોર કરતો રહ્યો હતો. 13મી ઓવરના છેલ્લા બોલ પર સુર્યકુમાર યાદવ ડેલ સ્ટેન સામે કવર્સ તરફ શોટ રમ્યો જ્યાં કોહલી ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ બંને ખેલાડીઓ એકબીજાને ઘણો સમય જોતા રહ્યા. મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવ્યા બાદ સુર્યકુમારે કોહલી તરફ જોયુ અને ઇશારો કરીને કહ્યું કે શું બધુ ઠીક છેને.
કોહલી હંમેશા મેદાનમાં જોશ સાથે ઉતરે છે
સુર્યકુમાર યાદવનાં આ વ્યવહાર પર સોશિયલ મીડિયા પર તેનાં વખાણ કરવામાં આવ્યા હતા. યૂઝર્સે કહ્યું હતું કે સુર્યકુમારે નેગેટિવ અટેકનો જવાબ પોઝિટિવ રીતે આપ્યો. વિરાટ કોહલી સાથે મેદાનમાં તકરાર બાદ સુર્યકુમારે કહ્યું હતું કે વિરાટ માટે આ કોઈ નવી વાત નથી. તે હંમેશા જોશમાં મેદાનમાં ઉતરે છે. પછી તે ભારત માટે રમવાની વાત હોય કે આઈપીએલમાં રમવાની વાત હોય. તેની સાથે કોઈ પણ પ્રકારનો પંગો નથી.