ભરુચનાં નેત્રંગ તાલુકાનાં નવા ગામ પાસે આવેલા બ્રિજની દશા જોતા લાગે છે કે, તંત્રને લોકોને પડતી હાલાકી સાથે કંઈ લેવા દેવા નથી. નવા ગામ પાસેનો બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થવાની જાણે તૈયારી કરી રહ્યો છે.
બ્રિજ માત્ર બે સ્થળોને જોડવાનું જ નહીં, પરંતુ તંત્રને લોકો સાથે જોડવાનું પણ કામ કરે છે. પરંતુ ભરુચ (Bharuch) નાં નેત્રંગ તાલુકાનાં નવા ગામ પાસે આવેલા બ્રિજ (Bridge) ની દશા જોતા લાગે છે કે, તંત્રને લોકોને પડતી હાલાકી સાથે કંઈ લેવા દેવા નથી. નવા ગામ પાસેનો બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થવાની જાણે તૈયારી કરી રહ્યો છે. તો કેવી છે બ્રિજની દુર્દશા જોઈએ આ અહેવાલમાં.
આ બ્રિજની દુર્દશા જોતાં તમે કદાચ તેના પરથી પસાર થવાનું ટાળશો. પરંતુ અહીં વસતા સ્થાનિક લોકો માટે એ શક્ય નથી. બ્રિજ ગમે તે ચોમાસે ધરાશાયી થવાની તૈયારીમાં છે પરંતુ તે અવરજવર માટેનો એક માત્ર રસ્તો છે. આથી લોકો જીવને મુઠ્ઠીમાં લઈને આ પુલ પરથી પસાર થવું પડે છે.
અહીં આપણે વાત કરી રહ્યાં છીએ ભરુચ જિલ્લાનાં નેત્રંગ તાલુકાનાં નવાગામ પાસેનાં એક જર્જિરિત બ્રિજની. અંકલેશ્વરથી બુરહાનપુરને જોડતા રાષ્ટ્રીય રાજમાર્ગ પર કરજણનદી પરનાં બ્રિજની હાલત જોખમી બની ગઈ છે. પુલની આજુબાજુની રેલિંગ તૂટી ગઈ છે અને પુલનાં તળિયાનાં પોપડા ખરી ગયા છે. બ્રિજ ગમે ત્યારે જમીન દોસ્ત થઈ જશે તેવો વાહન ચાલકોને ભય સતાવી રહ્યો છે.
સ્થાનિક લોકોએ રોજબરોજનાં સામાન્ય વ્યવહાર માટે આ બ્રિજ પરથી વાહન લઈને પસાર થયા સિવાય છૂટકો નથી. કેમ કે આ પુલ સિવાય તેમની પાસે અવરજવરનો બીજો કોઈ વિકલ્પ નથી. શિયાળા-ઉનાળામાં તો ઠીક ચોમાસામાં આ પુલની દશા વધારે ને વધારે જર્જરિત થઈ જાય છે. હાલ આ પુલનાં તળિયે પોપડા ઉખડી જતાં સળિયા દેખાઈ રહ્યાં છે. પુલનાં પિલ્લરો એટલા નબળાં બની ગયા છે કે પુલ પરથી પસાર થાવ તો આખા બ્રિજમાં ધ્રૂજારી અનુભવાય છે. બ્રિજનાં ઉપરનાં ભાગમાં ઠેર-ઠેર ગાબડાં પડી ગયા છે. જેનાં કારણે પણ ગમે ત્યારે અકસ્માત સર્જાવાનો ભય છે.
હાલતો જર્જરિત બનેલા આ કરજણ નદીનાં પુલનું ત્વરિત નવીનીકરણ કરાવવામાં આવે તેવી માંગ ઊઠી છે, નહીં તો ચોમાસા દરમ્યાન ભારે વરસાદમાં ગમે ત્યારે આ પુલ પર મોટી હોનારત સર્જાશે. તેવા ભયનાં ઓથાર હેઠળ લોકો પુલ પરથી પસાર થઈ રહ્યાં છે.