3196 પરપ્રાંતવાસી કામદારો ઉપર એક NGO દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભારતીય અર્થતંત્ર આવી રીતે શટ ડાઉન થઇ જશે એ વાતથી અજાણ આવા તોતિંગ 92.5% મજૂરો બેરોજગાર થઇ ગયા છે. એવામાં કોરોના વાયરસને લગતા લોક ડાઉન અંગે બીજા ચિંતાજનક સમાચાર આવ્યા છે કે 42% કામદારો એવા છે જેમની પાસે લોક ડાઉનના બાકીના દિવસો માટે નહીં પણ એક દિવસ માટેનું રેશન પણ બચ્યું નથી.
શું કહ્યું સર્વેના 3196 પરપ્રાંતવાસી કામદારોએ?
જો આ લોકડાઉન 21 દિવસથી વધુ ચાલ્યું તો 66% કામદારોએ કહ્યું કે તેઓ એક અઠવાડિયાથી વધારે તેમનો ઘરખર્ચ નહીં ચલાવી શકે. પુરા 33% કામદારોએ કહ્યું કે તેઓ તેમના વતન નહીં પણ જે શહેરમાં મજૂરી કરતા હતા તે જ શહેરમાં ફસાઈ ગયા છે અને તેમની પાસે ખોરાક, પાણી કે રૂપિયાની કોઈ વ્યવસ્થા નથી. વતન પહોંચેલા કામદારો પણ રેશન માટે હવાતિયાં મારે છે તેવા સમાચાર આવી રહ્યા છે.
31% કામદારોએ સ્વીકાર્યું કે તેમના માથે દેવું છે અને રોજગાર વગર તેમને ભય છે કે તેઓ આ દેવું નહીં ચૂકવી શકે. કરુણતા એ છે કે આ દેવાદાર કામદારોમાંથી 50% કામદારોએ એમ પણ સ્વીકાર્યું કે જો તેઓ ઋણ નહીં ચૂકવી શકે તો લેણદાર હિંસા ઉપર ઉતરી આવી શકે છે.
94% કામદારો પાસે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન વર્કર્સ ID કાર્ડ જ નથી
24મી માર્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ આપ્યો કે તેઓ કામદારોને BOCW ફંડની 32000 કરોડની રકમમાંથી ચોક્કસ રકમ તેમના ખાતામાં જમા કરે જેથી તેમને રૂપિયાની ખેંચ ન રહે. હવે મહત્વની વાત એ છે કે આ સર્વેના 94% કામદારો પાસે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન વર્કર્સ ID કાર્ડ જ નથી. આથી તેઓ આ ફંડનો લાભ નહીં લઇ શકે.
80% કામદારોને ભય છે કે તેમના પરિવાર માટે ખાવા પીવાનું થોડા સમયમાં પૂરું થઇ જશે જયારે 83%ને ભય છે કે તેમને લોકડાઉન પછી કામ નહીં મળે. એવું પણ જાણવા મળ્યું હતું કે આ પૈકીના 55% કામદારોને 200 થી 400 રૂપિયાના રોજ ઉપર કામ કરાવવામાં આવે છે જેમાં તેમણે સરેરાશ 4 જણના પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય છે.
દેશમાં આવા કામદારોની સંખ્યા ખૂબ મોટી
કન્સ્ટ્રકશન સેક્ટર દેશના 9% GDP માટે જવાબદાર છે અને દૈનિક વેતન ધરાવતા 5.5 કરોડ મજૂરોને રોજગારી આપે છે. દર વર્ષે 90 લાખ મજૂરો ગ્રામીણ વિસ્તારમાંથી ફેક્ટરી અને કન્સ્ટ્રકશનમાં મજૂરી કરવા માટે શહેરમાં આવે છે.
સમગ્ર દેશમાં આવા આંતરિક પરપ્રાંતવાસીઓની સંખ્યા તોતિંગ 45 કરોડ છે જે દેશની 37% વસ્તી જેટલા છે.