ભૂકંપના કારણે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ ઘટી રહી હોવાના અહેવાલોના પગલે પર્યાવરણવીદો ચિંતામાં મુકાઇ ગયા છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇને ફરીથી માપવા માટે નેપાળ સરકાર દ્વારા નિયુક્ત પર્વતારોહકોની એક વધુ ટીમ મોકલવામાં આવી રહી છે. આમ, હવે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ ફરીથી માપ્યા બાદ ખરેખર તેની ઊંચાઇ ઘટી છે કે કેમ તે અંગેની અટકળો સાચી છે કે કેમ તે નક્કી થઇ જશે.
જો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ ભૂકંપને કારણે ઘટી હોય તો માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર હોવાનો દરજ્જો ગુમાવી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પર્વતારોહકોની બનેલી ચાર સર્વેક્ષકની ટીમ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપવા માટે બુધવારે રવાના થશે. માઉન્ટ એવરેસ્ટ હિમાલયમાં નેપાળ અને ચીનની સરહદે છે.
તેની સત્તાવાર ઊંચાઇ ૮૮૪૮ મીટર (૨૯૦૨૯ ફૂટ) છે. ૧૯૫૪માં પ્રથમ વાર ભારતીય સર્વેક્ષણ દ્વારા આ ઊંચાઇ માપવામાં આવી હતી અને રેકોર્ડ કરાઇ હતી. આમ તો અન્ય કેટલીય ટીમોએ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપી હતી, પરંતુ આખરે ૧૯૫૪માં માપવામાં આવેલી ઊંચાઇનો વ્યાપક રીતે સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો છે.
૨૦૧૫માં નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ એવા અહેવાલો જારી થયા હતા કે ભૂકંપની અસરના કારણે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ ઘટી ગઇ છે. નેપાળના સર્વેક્ષણ વિભાગે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકવા માટે પર્વતારોહણ અભિયાન તૈયાર કરવા ૨૦૧૭માં સર્વેક્ષકોની એક ટીમને મંજૂરી આપી દીધી હતી. સર્વેક્ષણ વિભાગના સંયોજક સુશીલ ડાંગોલે જણાવ્યું હતું કે હવે અમે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ સત્તાવાર રીતે માપવા માટે ટીમ મોકલી રહ્યા છીએ, કારણ કે ભૂકંપ બાદ એવરેસ્ટની ઊંચાઇને લઇને અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ભૂકંપની અસર થવા ઉપરાંત ગ્લોબલ વોર્મિંગને કારણે પણ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ પ્રભાવિત થઇ શકે છે એવા પણ અહેવાલો વહેતા થયા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધવાથી હિમાલયની ગ્લેશિયર પીગળવા લાગ્યાં છે અને તેના કારણે કેટલાય પર્વતારોહકો પણ ભોગ બન્યા છે.
સીએનએનના એક રિપોર્ટ અનુસાર ૧૯૨૨ બાદ ગ્લેશિયર પીગળવાના કારણે અહીં લગભગ ૨૦૦ જેટલા પર્વતારોહકોના હિમપ્રપાત અને તોફાનના કારણે મોત થયાં છે. પર્વતારોહકોનાં મોત બાદ તેમના શબ બરફ અને ગ્લેશિયર નીચે દબાઇ જાય છે. નેપાળ પર્વતારોહક સંઘના પૂર્વ અધ્યક્ષ શેરિંગ શેરપા જણાવે છે કે ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે માઉન્ટ એવરેસ્ટની ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યાં છે. વર્ષ ૨૦૧૮માં અમારી કંપનીને પર્વતારોહકોના સાત મૃતદેહ હાથ લાગ્યા હતા. આમાંના કેટલાક પર્વતારોહકો ૧૯૭૦ના બ્રિટિશ અભિયાન સાથે પણ જોડાયેલા હતા.
અભ્યાસ અનુસાર એવરેસ્ટની ગ્લેશિયર પીગળી રહ્યાં છે અને વધુ પાતળાં થઇ રહ્યાં છે. નેશનલ માઉન્ટેન ગાઇડ એસોસીએેશનના અધિકાર સોબિતકુમારનું કહેવું છે કે આ એક ગંભીર મુદ્દો છે અને અમે તેના કારણે ચિંતિત છીએ. તેની સામે કામ લેવા અમે જાગરુકતા વધારી રહ્યા છીએ. ક્લાયમેટ ચેન્જ ગ્લેશિયરની સાથેસાથે નેપાળને પણ પ્રભાવિત કરી રહ્યું છે.