ગુમ થયેલ સ્વજનનો મૃતદેહ મળ્યા બાદ સબંધીઓ અગ્નિ સંસ્કાર કરી નાખે.પછી બીજા જ દિવસે એ મૃતક અચાનક ઘરે આવી ચડે ત્યારે સ્વજનની હાલત કેવી થાય.આવી જ ઘટના જામનગરમાં બની છે.
જામનગરમાં સરખા જેવો ચહેરો ધરાવતી બે વ્યક્તિ ગૂમ
એકનો મૃતદેહ મળ્યો ;અંતિમ સંસ્કારની જાણ બીજા પરિવારને
ઘરમાં શોકમય વાતાવરણ વચ્ચે બીજા પ્રૌઢ પહોચ્યા ઘરે
ગુમ થયેલ સ્વજનનો મૃતદેહ મળ્યા બાદ સબંધીઓ અગ્નિ સંસ્કાર કરી નાખે.પછી બીજા જ દિવસે એ મૃતક અચાનક ઘરે આવી ચડે ત્યારે સ્વજનની હાલત કેવી થાય ?બસ આવો જ બનાવ બન્યો છે જામનગરમાં.હકીકતે જે મૃતકના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા તે જામનગરના જ અન્ય પરિવારના સ્વજન હતા.વાત એમ છે કે શહેરમાંથી એક જ સરખો ચહેરો ધરાવતા બે વૃદ્ધ ગુમ થઇ ગયા બાદ આ ઘટના ઘટી છે.કેવા સંજોગોમાં ઘટી ઘટના.
પોલીસે ફોન કર્યો,વડીલના અંતિમ સંસ્કાર થઇ ગયા છે
જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા સતાવારા પરિવારના પ્રૌઢ બે દિવસથી ગુમ થઇ ગયા હતા.જેને લઈને પુત્ર સહિતના પરિવારે શહેરના એ ડીવીઝનમાં પ્રૌઢ દયાળજીભાઈ રાઠોડ ગુમ થઇ જતા પરિવાર ચિંતામાં ગરકાવ થઇ ગયો.અનેક જગ્યાએ શોધખોળ કરી પણ પરિણામ ન મળ્યું. શહેરના એ ડીવીઝન પોલીસ મથકમાંથી ફોન આવ્યો પણ શોક જન્માવનારો. પોલીસે પરિવારને જે કહ્યું તેનાથી આંચકો લાગ્યો.શહેરના દેવુભાના ચોકમાં રહેતા પરિવારે દયાળજીભાઈના અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે.આ સાંભળી પ્રૌઢના પુત્ર સહિતનાઓ વિસામણમાં મુકાઈ ગયા.જે થઇ ગયું તે થઇ ગયું એમ માની દયાળજીભાઈનો પરિવાર પહોચ્યો શહેરના સમશાને. જયા સચવાયેલા અસ્થી લઇ ઘરે આવી શોક પણ પાળ્યો.
એકના બદલે બીજાના થયા અંતિમ સંસ્કાર
જામનગરમાંથી શનિવારે સવારે ભોયના ઢાળિયા પાસેથી એક વૃદ્ધનો મૃતદેહ મળ્યો.પોલીસે દેહ કબજે કર્યો અને પરિવાર સુધી પહોચવા પ્રયાસો કર્યા. જેમાં મોટાભાગનાએ આ દેહ દેવુભાના ચોકમાં રહેતા કેશુભાઈ મકવાણાનો હોવાની ઓળખ આપી.જેને લઈને પોલીસે વૃદ્ધના પરિજનોને બોલાવી ઓળખવિધિ કરાવી..સ્થળ પર આવેલ પુત્રી દેહને જોઈને બેભાન થઇ ગઈ.ઓળખ વિધિ થયા બાદ પોલીસે પરિવારને મૃતદેહ સોંપ્યો.અને અંતિમ સંસ્કાર કરી દેવાયા.પરંતુ ટ્રેજેડી હવે સર્જાશે એમ પરિવારને પણ ક્યા ખબર હતી ?
વડીલ સાજા-નરવા ઘરે આવતા ખુલ્યું રહસ્ય
જે પિતાના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા તે પિતા બીજા દિવસે સવારે પુત્રીના ઘરે આવી પહોચ્યા.કેશુભાઈ મકવાણા વહેલી સવારે તેની પુત્રીના ઘરે આવી પહોચતા પુત્રી અને જમાઈ ડરી ગયા.થોડી હિમત કરી કેશુભાઈને પૂછતા સમગ્ર ઘટના પરથી પરદો ઊંચકાયો હતો.જેને લઈને કેશુભાઈના જમાઈએ પોલીસને જાણ કરી હતી.પોલીસે તપાસ કરતા ખબર પડી કે જેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તે બે દિવસ પૂર્વે ગુમ થયેલ દયાળજીભાઈ હતા.પોલીસે બંને પરિવારને દફતર બોલાવી મામલો થાળે પાડ્યો હતો