પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાંઓ વિરૂદ્ધ 2016ની સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનારા લેફટનન્ટ જનરલ (રિટાયર્ડ) ડીએસ હુડ્ડાએ કહ્યું કે, ''મોદી સરકારે સેનાને સીમા પાર હુમલો કરવાની અનુમતિ આપવામા ઘણો મોટો સંકલ્પ દેખાડ્યો છે, પરંતુ સેનાના હાથ પહેલાં પણ બંધાયેલા ન હતા.'' ડીએસ હુડ્ડાએ આ વાત એક કાર્યક્રમમાં કહી હતી. તેમનુ નિવદેન તેવા સમયે આવ્યુ જ્યારે PM મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પુલવામાં થયેલા આતંકી હુમલા પછી કહ્યુ હતુ કે, ''જવાબી કાર્યવાહી કરવા માટે સેનાને છૂટ આપી દેવામાં આવી છે. હુમલો ક્યા, કેવી રીતે કરવો છે તે સેના નક્કી કરશે''
ડીએસ હુડ્ડાએ કહ્યું કે, હાલની સરકાર સરહદ પાર જઈને સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં હવાઈ હુમલાની મંજૂરી આપવામાં નિશ્ચિત રૂપે મહાન રાજનીતિક સંકલ્પ દેખાડ્યો છે. પરંતુ આ પહેલાં પણ ભારતીય સેનાના હાથ બંધાયેલા ન હતા.સેનાને ખુલી છૂટ આપવા અંગે ઘણી વાતો થઈ છે, પરંતુ 1947થી સેના સરહદ પર સ્વતંત્ર છે, જેઓએ ત્રણ-ચાર યુદ્ધ લડ્યા છે."
ડીએસ હુડ્ડાએ કહ્યું કે, "નિયંત્રણ રેખા એક ખતરનાક જગ્યા છે કેમકે જેવું મેં કહ્યું કે તમારા પર ફાયરિંગ થઈ રહ્યું છે અને જમીન પર સૈનિક તેનો તાત્કાલિક જવાબ આપી રહ્યાં છે. તેઓ મને પણ નહીં પૂછે, તો પછી અનુમતિ લેવાનો તો કોઈ સવાલ જ નથી. સેનાને ખુલી છૂટ આપવામાં આવી છે અને આ માટે કોઈ વિકલ્પ જ નથી." હુડ્ડાએ સપ્ટેમ્બર 2016માં ઉરી થયેલા આતંકી હુમલા પછી સીમા-પાર સર્જિકલ સ્ટ્રાઇકના સમયે સેનાની ઉત્તરી કમાનનુ નેતૃત્વ કર્યુ હતુ.
આ પહેલાં હુડ્ડાએ સર્જિકલ સ્ટ્રાઈકના વધુ પ્રચાર પર પણ કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ''સર્જિકલ સ્ટ્રાઈક જરૂર હતી અને અમે લોકોએ કર્યું. મને નથી લાગતું કે તેનો વધુ પ્રચાર થવો જોઈએ. સર્જિકલ સ્ટ્રાઈકથી એમ ન સમજી શકાય કે આતંકવાદ ખતમ થઈ ગયો છે અને પાકિસ્તાન હવે સુધરી જશે, તો આ વાત ખોટી છે.''
કોણ છે ડીએસ હુડ્ડા:
લેફટનન્ટ જનરલ (સેવાનિવૃત) ડીએસ હુડ્ડા પૂર્વી ઉત્તર થલ સેનાના કમાન્ડર રહી ચુક્યા છે. હવે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પર કોંગ્રેસના કાર્યબળનું નેતૃત્વ કરે છે. તેઓએ સેનાની ઉત્તરી કમાનનું તે સમયે નેતૃત્વ કર્યુ હતું જ્યારે સ્પેશિયલ ફોર્સ કમાન્ડોએ ઉરી આતંકી હુમલા પછી સપ્ટેમ્બર 2016માં સરહદ પાર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.