સુરેન્દ્રનગર: નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આયોજકો તથા ખેલૈયાઓ ગરબે ઝૂમવાની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. તેવામાં સુરેન્દ્રનગરના વિંગ્સ ગ્રૂપ દ્વારા વઢવાણ ખાતે નવરાત્રી પહેલા એક દિવસીય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
માતાજીની આરાધના અને ભક્તિ સાથે સેવાકીય હેતુથી કરેલા આ રાસ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં યુવાનો તથા યુવતોએ રાસલીલા રમી હતી. સેવાકીય ઉદ્દેશ સાથે કરવામાં આવેલા આ આયોજનને સૌ કોઈએ બિરદાવી હતી અને આવા આયોજનો દર વખતે થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે સેવાકીય હેતુથી કરવામાં આવેલ આ રાસ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં યુવાનોથી લઇ મોટેરાઓ માતાજીના ગરબે રમી ઝૂમી ઉઠ્યા હતા. જ્યારે આ આયોજન દ્વારા થયેલ આવકને યુવાનો દ્વારા ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ખર્ચ કરવાના સેવાકીય અભિગમને લોકોએ બિરદાવ્યો હતો.
આ પ્રકારના આયોજન હંમેશા થતાં રહેવા જોઈએ તેવી ઇરછા પણ વ્યક્ત કરી હતી. યુવાધન અને ખેલૈયાઓને પણ નવરાત્રી પહેલા કરેલ આ આયોજનથી મજા પડી હતી અને પોતાના પરિવાર સહીત મિત્રો સાથે મોડી રાસ સુધી ગરબે રમી માતાજીની આરાધના કરી હતી.