ગઈ કાલે ઉજાગર થયેલાં બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ મુદ્દે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ કોલેજમાં થયેલી પરીક્ષામાં ગેરરીતિના સીસીટીવી સામે આવ્યા હતા. ત્યારે હવે VTVની ટીમ સ્કૂલ પર પહોંચતા વર્ગખંડના સુપરવાઈઝર અકળાયા હતા. VTV સમક્ષ સ્કૂલના સુપરવાઈઝર પ્રેરણા મહેતાએ નિવેદન આપ્યુ છે કે, હું પેપર કલેક્ટ કરી રહી હતી, ત્યારે ચોરીની ઘટના બની હતી.
સુપરવાઇઝરે જણાવ્યું કે ઉમેદવાર પાસે મોબાઈલ ક્યાંથી આવ્યા તે મને ખબર નથી. સ્કૂલ અને સુપરવાઈઝરની આ ઘટનામાં કોઈ પણ ભૂલ નથી. આ દરમિયાન સુપરવાઈઝરે વોચમેન અને પોલીસ સામે પણ સવાલ કર્યા હતા.
સુપરવાઇઝર પ્રેરણા મહેતાએ જણાવ્યુ કે, હું છોકરાઓના મોબાઈલ ચેક કરી શકતી નથી. જ્યારે આ કેસને લઇને બીજી તરફ સ્કૂલના પ્રિન્સીપાલ અજીકુમારે પણ VTV સાથે વાતચીત કરી હતી.
આ દરમિયાન તેમણે જણાવ્યુ કે, પરીક્ષા દરમિયાન ઘટનાની જાણ ન હતી. મીડિયા મારફતે સમગ્ર ઘટનાની જાણ થઈ છે. પરીક્ષા થઈ ત્યારે સુપરવાઈઝરે ગેરરીતિ વિશે કંઈ પણ જણાવ્યુ ન હતુ.
પ્રિન્સિપાલે કહ્યું કે હવે તપાસ કર્યા બાદ સુપરવાઈઝર સામે કાર્યવાહી કરવામાં આવશે. જો પરીક્ષા દરમિયાન સુપરવાઈઝરે ફરિયાદ કરી હોત તો શિક્ષણ વિભાગમાં રજૂઆત કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવત. આ ઘટના ઉજાગર થયા બાદ હજુ સુધી શિક્ષણ વિભાગે પણ સ્કૂલનો સંપર્ક કર્યો નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી. આ ગેરરીતિના CCTV ફૂટેજ કોંગ્રેસે જાહેર કર્યા હતા અને પરીક્ષામાં ગેરરીતિ થયાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે આ મામલે VTVની ટીમે સુરેન્દ્રનગર પહોંચીને રિયાલીટી ચેંકીગ કર્યું હતું. ગેરરીતિના આક્ષેપ મુદ્દે VTVની ગ્રાઉન્ડ ઝીરો લેવલે તપાસ કરી હતી.