ગઇકાલે સુરતમાં વ્યાજખોરના ત્રાસથી શેરબજારના એક દલાલે આપઘાત કરી લીધો હતો. ત્યારે આજે સુરેન્દ્રનગરના લીંબડીમાં વ્યાજખોરોએ એક યુવકને માર માર્યો.
સુરેન્દ્રનગરના લીંબડીમાં વ્યાજખોરો બન્યા બેફામ
પૈસાની ઉઘરાણીમાં યુવકને ગોંધી રાખી માર માર્યો
યુવકની પત્નીએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી
રાજ્યમાં ધીરે-ધીરે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હોય એવું સતત લાગી રહ્યું છે. કારણ કે હજુ તો ગઇકાલે જ સુરતમાં શેરબજારના એક દલાલે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો. ત્યારે હજુ તો એ ઘટના શમી નથી ત્યાં તો હવે સુરેન્દ્રનગરના લીંબડીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં પૈસાની ઉઘરાણીમાં એક યુવકને ગોંધી રાખી માર માર્યો હોવાની એક ઘટના સામે આવી છે. વ્યાજખોરોએ આ યુવકને માર મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આથી, યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, આ મામલે યુવકની પત્નીએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. આથી, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહિને 40 % વ્યાજ ભરતો હોવા છતાં માર માર્યો હોવાનો યુવકનો આક્ષેપ
વિગતવાર જો ઘટનાની વાત કરીએ તો લીંબડી રાવળ વાસમાં રહેતા યુવકને વ્યાજખોરે તેના એક મિત્રની મદદથી માર માર્યો હતો. ઘાયલ યુવકને સારવાર અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. યુવક મહિને 40 % વ્યાજ ભરતો હોવા છતાં ઢોરની જેમ માર માર્યો હોવાનો ઘાયલ યુવકે આક્ષેપ કર્યો હતો. લીંબડી શહેરના રાવળવાસમાં રહેતા સરફરાજ સિપાહીએ 8 મહિના પહેલા એક વ્યક્તિ પાસેથી રૂ. 5,000 અઠવાડિયે 10 ટકાના વ્યાજે લીધા હતા.
થોડો સમય બધું સમુસૂતરું ચાલ્યું હતું. સરફરાજે 4થી 5 મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું. વ્યાજે લીધેલા રૂ. 5 હજાર સામે 10,000 વ્યાજ પણ ભરી દીધું હતું. પરંતુ છેલ્લા 2-3 મહિનામાં મજૂરી નહીં મળતાં સરફરાજ વ્યાજની રકમ આપી ન હોતો. આથી, વ્યાજખોરોએ સરફરાજના ઘરે પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી.
વ્યાજખોર સરફરાજને બાઈકમાં બેસાડી ખંડેર બની ગયેલા મહેલમાં લઈ ગયો
રવિવારે જ્યારે સરફરાજ બજારમાં ખરીદી કરી રહ્યો હતો એ દરમ્યાન વ્યાજખોર તેના મિત્ર સાથે ત્યાં આવી ચડ્યો હતો. સરફરાજને બાઈકમાં બેસાડી એઈટીઆઈ નજીક ખંડેર બની ગયેલા મહેલમાં લઈ ગયો હતો. જ્યાં સરફરાજને લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું. આથી, ઘાયલ સરફરાજને સા૨વા૨ અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. બાદમાં આ ઘટનાની જાણ થતાં જ ખુદ પોલીસ ટીમ પણ હોસ્પિટલે દોડી આવી હતી. જ્યાં સરફરાજે પોલીસને જણાવ્યું હતું કે, '40 ટકા વ્યાજ ભરતો હોવા છતાંય ઢોરની જેમ મને માર માર્યો હતો.' લીંબડી પોલીસે સરફરાજનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.