સુરેન્દ્રનગરમાં મોડીરાત્રે બે શખ્સોએ થાનના વેપારી પર ફાયરિંગ કરી ખંડણી માંગી હોવાની ઘટના સામે આવી છે. જયાં બે શખ્સોએ ફાયરિંગ કરી રૂ.20 લાખની ખંડણી માગી હતી. ખંડણી ના આપતા આ શખ્સોએ રૂ.55 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જયારે ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગેની મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં રહેતા અને થાનના વ્યવસાય ચલાવતા યાસિનભાઇ નામના ઉદ્યોગપતિ ગતરોજ મોડી સાંજે પોતાનું દૈનિક કાર્ય પૂર્ણ કરીને પોતાના ઘર તરફ જવા રવાના થતા હતા ત્યારે અચાનક 2 શખ્સો ધસી આવ્યા હતા અને ફાયરિંગ કરીને રૂ.20 લાખની ખંડણી માગી હતી. જો કે ખંડણીની રકમ નહીં આપવામાં આવતા વેપારી પાસે રહેલ રૂ.55 હજારની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચેલ અને ઘાયલ થયેલ વેપારીને નજીકના દવાખાને સારવાર અર્થે મોકલી આપેલ જો કે આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકરાર મચી જવા પામી હતી અને આ મામલે ગુનો નોંધીને થાન પોલીસે વધુ તપાસ હાથ ધરી ફાયરિંગ કરનાર શખ્સોને ઝડપી લેવા સૂત્રો ગતિમાન કર્યા છે.