સુરેન્દ્રનગર: જીલ્લાના થાનમાં જગ વિખ્યાત તરણેતરનો ભાતીગળ અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતા મેળાનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. જે આગામી તારીખ 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. ત્યારે મેળામાં કોઈ અનિરછનીય બનાવ ન બને અને મેળો માણવા આવનાર લોકોને કોઈ હાલાકી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ થઇ ચુકી છે.
પ્લાસ્ટિક મુકત મેળો બની રહે તે માટે પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ પ્લાસ્ટિકના પાઉચનું પણ વેચાણ કોઈ કરી નહિ શકે અને અલગ-અલગ 15 જગ્યાએ સ્વયંસેવકો દ્વારા જ મેળામાં આવતા લોકોને પાણી આપવામાં આવશે.
જ્યારે ગ્રામીણ ઓલમ્પિકસ પશુ પ્રદર્શન પશુ હરીફાઈ અને રાસ-ગરબા સ્પર્ધાનું પણ આયોજન અલગ-અલગ દિવસે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ જવાનો પણ ખડેપગે તૈનાત રહશે. આમ વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તરણેતરના મેળા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી નાખવામાં આવી છે.
આવતી કાલે સવારે મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનુ પૂજન અને દીપ પ્રાગટ્ય કરી તરણેતરના વિશ્વ પ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવશે.