સુરેન્દ્રનગરની ધોળીઘજા ડેમની હાલત ચિંતાજનક છે. ડેમમાં માત્ર 8 જ દિવસ ચાલે એટલું પાણી રહી જતા તંત્ર દ્વારા તાત્કાલીક નર્મદામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. પણ પાણી છોડયા બાદ પણ ડેમની સ્થિતી જેમની તેમ છે. કારણ કે તંત્ર દ્વારા પાણી તો છોડાયું પણ માત્ર 12 થી 15 દિવસ ચાલે એટલું જ પાણી નર્મદા ડેમમાંથી ધોળીધજા ડેમમાં છોડવામાં આવ્યું.
મહત્વનું છે કે આ ડેમમાંથી સમગ્ર સુરેન્દ્રનગરવાસીઓને પીવાનું પાણી પુરૂ પાળવામાં આવે છે. ત્યારે જીલ્લામાં ચોમાસાની સિઝનમાં વરસાદ પણ નહીંવત થયો છે તો બીજી બાજું સમગ્ર જિલ્લાને પાણી પુરૂ પાડતો ડેમ પણ ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે. ત્યારે પાણી માટે વલખા મારતા સુરેન્દ્રનગરવાસીઓ સરકાર પાસે ડેમમાં વધુ પાણી છોડવાની ભલામણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સૌથી મહત્વની બાબત તો એ છે કે તાજેતરમાં જ ધોળીધજા ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવ્યો હતો. પરંતુ વરસાદ ખેંચાતા આ પાણી પણ પુરું થઈ ગયું છે. જેના કારણે સુરેન્દ્રનગર વાસીઓ પર જળ સંકટ તોળાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જોકે પાણીના સતત ઘટી રહેલા સ્તરને જોતાં પાલિકા પણ ગંભીર બની છે અને બે થી ત્રણ દિવસની અંદર ફરી ધોળીધજા ડેમમાં નર્મદાના નીર ભરવાની કવાયત હાથ ધરી છે.