ગુજરાતભરમાં હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમ પુર્વક થઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વારા સમાન સુરેન્દ્રનગર જિલ્લામાં હનુમાન જયંતિની ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે સુરેન્દ્રનગર હનુમાનનગર તરીકે ઓળખાય છે, કારણ છે અહીં શેરીએ શેરીએ જોવા મળતા હનુમાનજીના મંદિરો.
સુરેન્દ્રનગર: ગુજરાતભરમાં હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમ પુર્વક થઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વારા સમાન સુરેન્દ્રનગર જિલ્લામાં હનુમાન જયંતિની ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે સુરેન્દ્રનગર હનુમાનનગર તરીકે ઓળખાય છે, કારણ છે અહીં શેરીએ શેરીએ જોવા મળતા હનુમાનજીના મંદિરો.
સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર, દાળમિલ જેવા અનેક વિસ્તારોમાં કુલ 1500થી વધારે હનુમાન મંદિરો આવેલા છે. આ મંદિરો કોઇ મોટા સ્વરૂપ ધરાવતા નથી પરંતુ નાના-નાના દેરાં છે.
સુરેન્દ્રનગરમાં જોવા મળતા તમામ હનુમાન મંદિરોના નામ પણ વિશેષ છે. અહીં આવેલ ખીજડીયા હનુમાન, લીંબડીયા હનુમાન, કાણેટી હનુમાન, રોકડીયા હનુમાન, લક્ઝરીયા હનુમાન, વીજળીયા હનુમાન, શરાફી હનુમાન, જેવા અનેક હનુમાન મંદિરો સુરેન્દ્રનગરની ઓળખ બન્યા છે.
વાનરનું મોત થાય ત્યાં મંદિર બનાવવાની પરંપરા
જે સ્થળે કોઇ વાનરનું મોત થાય તે સ્થળે સ્થાનિક લોકો દ્વારા હનુમાન મંદિર પરંપરા છે. આ પરંપરા વર્ષોથી સુરેન્દ્રનગરના લોકો નિભાવે છે.
લક્ઝરિયા હનુમાનજી
શહેરના હવેલી રોડ પર વર્ષો પહેલા ટેક્સી સ્ટેન્ડ હતું. આ સ્ટેન્ડની આસપાસ કેટલીક જાણીતી હોસ્પિટલો પણ આવેલી છે જેથી ટેક્સીનો ઉપયોગ દર્દીઓ પણ મોટાભાગે કરતા હતા. સમયાંતરે અહીં હનુમાનજીની એક દેરી બનાવવામાં આવી જ્યાં દરરોજ ટેક્સીચાલકો પૂજા-અર્ચના કરતા હતા, જો કે, ગીચતા વધતા અને ઘરે-ઘરે ગાડીઓ જોવા મળતા ટેક્સી સ્ટેન્ડ ખાલી પડ્યું છે પરંતુ હનુમાનજીની દેરી હજી પણ અહીં જોવા મળે છે. જે લક્ઝરિયા હનુમાનની દેરી તરીકે ઓળખાય છે.
ખીજડીયા હનુમાન અને લીંબડીયા હનુમાન
શહેરની મધ્યમાં આવેલ ખીજડીયા હનુમાન અને લીંબડીયા હનુમાનની આ દેરીઓ નગરજનો માટે મોટું આસ્થાનું પ્રતિક છે. આ જગ્યા વર્ષો જુની હોવાથી દર શનિવારે અને ખાસ કરીને હનુમાન જયંતિના દિવસે અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. હનુમાન જયંતિના દિવસે મોડી રાત સુધી અહીં લોકડાયરો પણ યોજાય છે.
કાનેટી હનુમાન
શહેરથી થોડા કિલોમીટરના અંતરે આવેલ કાનેટી હનુમાન મંદિર આસપાસના વિસ્તારમાં ખુબ જ જાણીતું છે. અહીં શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીનું આવવાની માનતા રાખે છે અને હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હનુમાન જયંતિના દિવસે અહીં મેળા જેવું વાતાવરણ જોવા મળે છે.
લખતર તાલુકામાં આવેલ ગેથળા હનુમાન, પાતાળિયા હનુમાન તથા સરઘરાના હનુમાન
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલ ગેથળા હનુમાન, પાતાળિયા હનુમાન તથા સરઘરાના હનુમાન આ ત્રણેય તીર્થસ્થળો ખુબ જ જાણીતા છે. લખતર ગામની બહાર આવેલ ગેથળા હનુમાનજીનું મંદિરમાં મૂર્તિની સ્થાપના શિવાજીના ગુરૂ રામદાસે કરી હોવાનો ઇતિહાસ મળી આવે છે. તો ગામની મધ્યમાં આવેલ પાતાળિયા હનુમાન પારેજીયા પરિવારના કુળદેવતા છે. કાળી ચૌદશના દિવસે અહીં સમગ્ર પારેજીયા પરિવાર હાજર રહે છે અને દાદાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.
ચૈત્રી પૂનમની વિશેષ ઉજવણી
સુરેન્દ્રનગરમાં દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે મોટો ઉત્સવ ઊજવાય છે. એ દિવસે શહેરભરનાં હનુમાનજી મંદિરોને શણગારવામાં આવે છે. હાલ જે રીતે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવાં મોટાં શહેરોમાં ગણેશોત્સવ દરમિયાન વિવિધ થીમ પર પંડાલ ઊભા કરીને ગણેશજીની સ્થાપના કરાય છે તે રીતે અહીં દરેક હનુમાનજી મંદિરોને વિવિધ થીમ પર શણગારવામાં આવે છે. યુવાનો અને બાળકો મહિના અગાઉથી તે માટે કામે લાગી જાય છે. જે તે શેરીના યુવાનો પોતાની શેરીના હનુમાનજી મંદિરને અન્યોથી અલગ અને આકર્ષક બનાવવા જાતજાતની તરકીબો લડાવે છે.
મોડી રાત સુધી માનવ મહેરામણ બજારમાં જોવા મળે છે
હનુમાનજીનાં મંદિરોની એ વખતની સજાવટ જોવા માટે આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ઉમટી પડે છે. સુરેન્દ્રનગર શહેર ઉપરાંત જિલ્લાનાં તાલુકામથકો વઢવાણ, મૂળી, સાયલા, ચોટીલા, ધ્રાંગધ્રા, હળવદ અને લખતરમાં પણ હનુમાનજીનાં મંદિરો જાણીતાં છે. જેમ કે, વઢવાણમાં કાનેટી હનુમાન, વાઘેલા રોડ પર આવેલા બાલા હનુમાન અને ગડિયા હનુમાન મુખ્ય છે. ચોટીલા શહેરમાં પંચમુખી હનુમાન, ભોલા હનુમાન, બટુક હનુમાન જાણીતા છે.