સુરેન્દ્રનગરમાં ભાજપમાં આંતરિક વિખવાદ ઉભો થયો છે. લોકસભા બેઠક પરથી મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપતા દેવજી ફતેપરા નારાજ થયા છે. દેવજી ફતેપરાએ પક્ષ છોડવા સુધીની વાત કહી છે. ત્યારે આ મામલે દેવજી ફતેપરાએ જણાવ્યું કે ભાજપમાં જુથવાદ છે. ભાજપમાં સેન્સની પ્રક્રિયા માત્ર એક નાટક છે.
કુંવરજીભાઈને સમય આવ્યે ખબર પડશે
તો કુંવરજી બાવળિયાને લઇને તેમણે કહ્યું કે કુંવરજી બાવળિયાને સમય આવ્યે ખબર પડશે. કુંવરજી બાવળિયાના ભાજપમાં આકરા દિવસો આવવાના બાકી છે. ધનજીભાઇ પટેલે રૂપિયાના જોરે બધુ ગોઠવ્યું છે. જયંતિભાઇ કવાડિયા અને આ બધા એક છે.
હું દેવજીભાઇના નાનાભાઇ જેવો હું છુઃ મુજપરા
સુરેન્દ્રનગરથી દેવજી ફતેપરાની ટિકિટ કપાતા તેઓએ ભાજપ પર આરોપો લગાવ્યા છે. મહેન્દ્ર મુંજપરાએ પૈસા આપી ટિકિટ લીધી હોવાનું કહ્યું છે. જેને લઇને ભાજપ ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દેવજીભાઇ મારા વડિલ છે અને હું તેમના નાના ભાઇ જેવો છું. મારી પાસે ટિકિટ ખરીદવાના પૈસા જ નથી. હું સ્થાનિક ઉમેદવાર હોવાથી મને ટિકિટ આપવામાં આવી છે.
'ટિકિટ રૂપિયા આપીને મળતી નથી'
દેવજી ફતેપરાએ ધનજી પટેલ પર રૂપિયા આપીને ટિકિટ ખરીદવાનો લગાવ્યો આરોપ છે. તો આ મામલે ધનજી પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ભાજપ ટિકિટ વેચવા વાળી પાર્ટી નથી.