ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વેપારીઓ એસોસિયેશન દ્વારા ધંધા-રોજગારને લઇને સમયગાળામાં ફેરફાર કરવાના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. કેટલાંક જિલ્લાઓમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વેપારીઓ દ્વારા આજથી દુકાન, ધંધા-રોજગાર બપોરના 4 વાગ્યા બાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વધતા કોરોનાના કેસને લઇને વેપારીઓ પણ હવે સતર્ક થઇ ગયા છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપરના વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરમાં આજથી દુકાન, ધંધા-રોજગાર બપોરના 4 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે. વેપારી એસોસિયેશન દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં કોરોનાને લઇને પરિસ્થિતિ વધુ વણસતી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરમાં કોરોનો વધુ વકરતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.