સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત અનેક હોદ્દેદારોના રાજીનામા, કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીનો ખેસ કર્યો ધારણ
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ દાવપેચ શરૂ
સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના હોદ્દેદારોએ ધર્યા રાજીનામા
એકસાથે અનેક હોદ્દેદારોએ રાજીનામું આપતા રાજકીય ભૂકંપ
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ દાવપેચ શરૂ થઈ ગયા છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોના રાજીનામા પડતા રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. વઢવાણ નગરાપાલિકાના પૂર્વ પ્રમુખે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તો સોશિયલ મીડિયા સેલના પ્રમુખ અને ઉપપ્રમુખનું પણ રાજીનામું પડી ગયું છે. કુલ 17 જેટલા હોદ્દેદારોએ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસમાંથી રાજીનામા બાદ તમામ સભ્યો આજે આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ ગયા છે.
ગુજરાતમાં રાજકીય ગરમાવો
ગુજરાતમાં આવતા વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે વર્ષે 2022માં થનારી દરેક ચૂંટણીઓ દિલ્હીની સત્તા માટે નિર્ણાયક સાબિત થશે ત્યારે ગુજરાતથી લઈને યુપી સુધી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં ચૂંટણીઓને લઈને દોડધામ અત્યારથી ચાલુ છે. ભાજપ પાસે સત્તા ચાલુ રાખવાનો પડકાર છે. જ્યારે કોંગ્રેસને 2024માં જો મજબૂતાઈથી લડવું હોય તો સારું પ્રદર્શન કરવું ખૂબ જરૂરી છે.
ભરતસિંહ સોલંકીની બેઠકમાં સામેલ ન થયા અમિત ચાવડા
ભાજપ અને કોંગ્રેસ બંને માટે ગુજરાત રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. ત્યારે દિલ્હીમાં જ્યાં ભાજપની કાર્યકારિણીની બેઠક થઈ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસમાં અંદરો-અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાતમાં કોંગ્રેસ પ્રભારીની સાથે સાથે નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તથા વિધાનસભાના નેતાની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે. એવામાં ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખને લઈને ગુજરાતમાં ઉથલપાથલ શરૂ થઈ છે. ધારાસભ્યો અને કાર્યકરોમાં નવા ચહેરાને લઈને ગણગણાટની શરૂ થયો છે.
OBC સમાજને અન્યાય થતો હોવાનો સૂર
કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તે પહેલા દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સક્રિય થયા છે. શનિવારે કોંગ્રેસ આગેવાનો અને ધારાસભ્યોએ બેઠક કરી હતી જેમાં વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા ન હતા. આ બેઠકમાં પણ આગેવાનો વચ્ચે ખેંચતાણ થઈ હોવાનું સામે આવ્યું છે જ્યારે કેટલાક નેતાઓએ OBC સમાજને અન્યાય થઈ રહ્યો હોવાનો સૂર પણ ઉઠાવ્યો હતો.