સુરેન્દ્રનગર જીલ્લામાં એશીયાનું સૌથી મોટું પમ્પીંગ સ્ટેશન આવેલું છે તેમ છતાં જિલ્લાના અમુક તાલુકાઓના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વાત કરીએ પાટડી તાલુકાની તો પાટડી તાલુકાના કામલપુર ગામમાં 2 હજારથી વધુ લોકો વસે છે.
આ ગામના લોકોને છેલ્લા 25 વર્ષથી લોકોને પાણી મળ્યું નથી ગ્રામ પંચાયત દ્વારા નળના કનેક્શન આપવામાં આવ્યા છે પરંતુ નળમાં આજ સુધી ક્યારેય પણ પાણી આપવામાં આવ્યુ નથી. જેના કારણે ગ્રામજનો 2 કિલોમીટર સુધી દુર જઈને પાણી ભરવા માટે મજબૂર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ રાજ્યમાં પડી રહેલી ગરમી તો બીજી તરફ પાણીની સમસ્યા. પાણીની સમસ્યા હોવાના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વર્ષોથી ચાલી રહેલી પાણીની સમસ્યાનો નિકાલ આવે તે માટે ગ્રામજનો અને સરપંચ સહિતના આગેવાનોએ અનેક વખત મામલતદાર DDO પાણી પુરવઠા નર્મદા વિભાગ સહિત જીલ્લા કલેકટરને લેખિતમાં રજુઆતો કરી છે. તેમ છતા તંત્ર દ્વારા આ ગામને પાણી પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી નથી.
મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા લોકોને શુધ્ધ પાણી પહોંચાડવાની વાતો કરવામાં આવે છે. લોકોને શુદ્ધ પાણી મળે તે માટે અનેક યોજનાઓ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કામલપૂર ગામના લોકો વર્ષોથી પાણી માટે વલખા મારી રહ્યા છે. આ ગામમાં પાણીની સમસ્યાનો અંત ક્યારે આવશે તે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે.