સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામની માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને ફરી એક વખત રોવાનો વખત આવ્યો છે. કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં વધુ એક વખત પાણી ફરી વળ્યું છે.
જીરા એરંડા સહિતના પાકને મોટા પાયે નુકસાન થયાં હોવાની ભીતી હાલ સેવાઈ રહી છે. તો તંત્રની લાલિયાવાડીને કારણે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આપને જણાવી દઇએ કે વારંવાર પડતાં ગાબડાંને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના કારણે કેનાલમાં ગાબડા પડવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ ઘટના પહેલા પણ સુરેન્દ્રનગરથી વલ્લભીપુર જતી કેનાલમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયાં હતાં. બોટાદના રાણપુરના રાજપરા પાસે કેનાલમાં ગાબડું પડતા પાણીનો મોટો જથ્થો ભાદર નદીમાં વહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વઢવાણ તાલુકાના માળોદ અને વાઘેલા ગામ નજીક રહેલ નર્મદાની કેનાલમાં ગાબડું પડવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ગાબડું પડવાને કારણે કેનાલની આસપાસ રહેલા ખેડૂતોના ખતરમાં પાણી ફરી વળ્યા હતા. પાણીનો જથ્થો વધુ હોવાથી પાકને મોટા પાયે નુકસાન થયું હતું. આ બનાવને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.