કેરળનું સબરીમાલા મંદિર ફરી એકવાર ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી તો આપી દિધી પરંતુ અયપ્પા ભક્તોને કોર્ટનો આ ચુકાદો ગળે ન ઉતર્યો. અદાલતમાંથી હક મળ્યા બાદ જ્યારે મહિલાઓ મંદિરમાં દર્શન માટે જવા લાગી તો તેમને અધવચ્ચે જ અટકાવી દેવા માટે સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. કેરળ સરકારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો છતાં પરંપરાના નામે આંધળા બનેલા લોકોએ હંગામો મચાવી દિધો.
બંધારણે પ્રદર્શનનો અધિકાર આપ્યો તે જ બંધારણના એક એક પાનાને પવિત્ર માનતી સુપ્રીમ કોર્ટે જ્યારે મહિલાઓને સમાનતાની નજરે જોઇ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશવાનો અધિકાર આપી દિધો તો કથિત સામાજિક સંગઠનોના હ્રદયમાં ફાળ પડી ગઇ.
દેશની સૌથી મોટી અદાલતના નિર્ણય બાદ જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા તો કેટલીક મહિલાઓ દર્શન માટે મંદિર તરફ આગળ વધવા લાગી. મહિલાઓને મંદિરમાં જતા કોઇ રોકી ન શકે તે માટે કેરળ સરકારે પોલીસકર્મીઓને તૈનાત કર્યા છતાં હંગામો થયા વગર ન રહ્યો. માત્ર પુરુષો એ જ નહી મહિલાઓએ પણ અન્ય મહિલાઓને મંદિરમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કર્યો.
પરંપરાના નામે ચાલી આવતી કૃપ્રથાને રોકવા અદાલતે ચુકાદો તો સંભળાવી દિધો પરંતુ પુરુષપ્રધાન સમાજનો આ એક એવો તબકો છે જે દેશની સૌથી મોટી અદાલતના નિર્ણયને સ્વિકારવા તૈયાર નથી. પાંચ જજોની બેન્ચે બહુમતથી આપેલા ચુકાદાને અયપ્પા ભક્તો રસ્તા પર ઉતરીને કંઇક આ રીતે પડકારી રહ્યા છે.
રસ્તા પર નિકળેલી આ પ્રજા અશિક્ષિત નથી. અહિંયા તમને ગેજ્યુએટથી લઇને પીએચડી અને એલએલબીથી લઇને બીટેક એમ ટેક કરનારા મહાનુભાવો મળી જશે પરંતુ પુસ્તકીયા જ્ઞાનને આરોગી ચુકેલા આ લોકોને જાણે કે ધર્મીક પરંપરાએ આંધળા કરી દિધા છે.
ભગવાન ભલે સ્ત્રી પુરુષ ધનવાન ગરીબ બાળક અને વૃદ્ધોમાં ભેદભાવ ન કરે. પરંતુ કેરળના સબરીમાલાના અયપ્પા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓ પ્રવેશ કરે તે કળીયુગના આ ભક્તોને મંજુર નથી. જાણે કે ભગવાન પર એકાધિકાર છે. જે મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશવાની મનાઇનો ધાર્મિક ફતવા જાહેર થયો હોય ત્યાં 10 વર્ષથી નાની બાળકીઓ અને 50 વર્ષની ઉંમર વટાવી ચુકેલી મહિલાઓને મળેલી દર્શનની તકનો હર્ષ ઉલ્લાસ તેમના આંખોમાં જોવા મળી રહ્યો છે.
ભાજપના સાંસદ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમર્થન તો કરી રહ્યા છે પરંતુ કેરળમાં ત્રણ દિવસ પહેલા જ ભાજપે રેલી યોજી હતી અને કોર્ટના ચુકાદાની વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. તેમની માગ હતી કે કેરળ સરકાર સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટીશન દાખલ કરે પરંતુ કેરળની સીપીઆઇએમ સરકારે રાજકીય અને ધાર્મિક વિરોધ બાદ પણ કોર્ટના ચુદાકાને સંપૂર્ણ રીતે લાગૂ કરવાની નીતિ અપનાવી. એટલે સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો મુદ્દો હવે ધાર્મિક જ નહી રાજકીય બની ગયો છે અને સત્તાની સિંહાસન સુધી પહોંચવા માટે ભાજપ મતદારોના ભક્તિભાવને નિસરણી બનાવશે તેની પુરેપુરી શક્યતા છે.