સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી અધિકારીઓની કામગીરીથી નારાજ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓએ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યકત કર્યો છે. મત વિસ્તારમાં લોકોના કામ ન થતા તેઓએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે જનતાના કામ અટવાયાનો સૂર વ્યકત કર્યો છે.
'25 વર્ષથી સરકારી જવાબો સાંભળીને કંટાળી ગયા છીએ, પરિણામ આપો, વાયદા નહીં :કુમાર કાનાણી pic.twitter.com/yUgOxnqA1e
હું અવાજ ઉઠાવતો રહીશ, અધિકારીઓએ કામ તો કરવું પડશે: કાનાણી
કુમાર કાનાણીએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતા કહ્યું કે, 'પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક થવું જોઈએ. તંત્રની સામે માથા પછાડીએ તો જ કામ થાય છે. વરાછામાં રોડનું કામ અટવાયું છે. વહીવટી તંત્રને હું રજૂઆત કરું છું છતાં કામ નથી થતું. અમારી પાસે જે કોઈ પ્રશ્નો આવે તેની અમે રજૂઆત કરતા હોઈએ છીએ. લોકો રસ્તાના કામ ન થવાના કારણે પરેશાન થઇ ગયા છે. અધિકારીઓ પર દબાણ કરીએ એટલે કામ કરે.'
વધુમાં કહ્યું કે, 'અધિકારીઓએ જાતે જ કામ કરવું જોઈએ. અધિકારીઓ માત્ર જવાબો જ આપે છે. અધિકારીઓએ માત્ર જવાબો નહીં કામ કરી બતાવવું પડશે. હું અવાજ ઉઠાવતો રહીશ, અધિકારીઓએ કામ તો કરવું પડશે. દર ચોમાસામાં એકની એક જ જગ્યાએ રોડ કેમ તૂટે છે? એક જ જગ્યાએ રોડ તૂટે તો તેનું સમાધાન તો શોધવું પડે ને?'
વિગત જાણીને હું આ અંગે પ્રતિક્રિયા આપીશ: SMC કમિશનર
કુમાર કાનાણીની નારાજગી અંગે મેયરે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ કુમાર કાનાણીની પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો. આ મામલે SMC કમિશનર બંછાનિધિ પાનીએ પણ VTV સમક્ષ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી કે વિગત જાણીને હું આ અંગે પ્રતિક્રિયા આપીશ.