ચારધામ યાત્રાના ટ્રાવેલ્સ સંચાલકે સુરતના યાત્રીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં ઘોડદોડ રોડ સ્થિત ટ્રાવેલ્સ સંચાલકે કરી છેતરપિંડી
21 જેટલા યાત્રાળુઓ સાથે આચરી છેતરપિંડી
હેલિકોપ્ટર,ડોલી સહિતના પૈસા ઉઘરાવી બુકિંગ નહીં કરીને આચરી છેતરપિંડી
સુરતમાં ઘોડદોડ રોડ સ્થિત આવેલ ટ્રાવેલ્સ સંચાલકે ચારધામ યાત્રાના શ્રદ્ધાળુ સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ઊઠી છે. ટ્રાવેલ્સ સંચાલકે યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સહિતની સુવિધાના નામે આંબા-આંબલી બતાવી હતી. ટિકિટ બુકિંગ કરી લીધા બાદ યાત્રામાં એક પણ સુવિધા ન આપી છેતરપિંડી કરી હોવાથી મહિલાએ વિડીયો વાયરલ કરીને આપવીતી જણાવી હતી.
મહિલાએ સુરત પોલીસની મદદ માંગતો વીડિયો પોસ્ટ કર્યો
યાત્રાની ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સાંકળાયેલ સંચાલકોની દાદાગીરીના અનેક વખત કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં સુરતના 21 જેટલા યાત્રાળુઓને પણ ટ્રાવેલ્સ સંચાલકનો કડવો અનુભવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રાવેલ્સ સંચાલકે દગો કર્યાની ફરિયાદ ઉઠી છે. સુરતથી 21 જેટલા યાત્રાળુઓનો સંઘ ચારધામ યાત્રાએ ગયો હતો. આ દરમીયાન શ્રદ્ધાળુઓને યાત્રામાં હેલિકોપ્ટર, ડોલી સહિતની સુવિધા આપવામાં આવશે. અને કોઇ પણ અગવડના નહિ પડે તેવી ટ્રાવેલ્સ સંચાલકે ખાતરી આપી હતી. એટલું જ નહિ હેલિકોપ્ટર, ડોલીના નામે આડેધડ રૂપિયા પણ ઉઘરાવી લીધા હતા. ત્યારબાદ યાત્રામાં એક પણ સુવિધા આપી ન હતી. આથી યાત્રામાં સામેલ અશક્ત વૃદ્ધો અને શારીરિક તકલીફ ભોગવતા લોકોને પરેશાનીનો કોઇ પાર નથી. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ થતાં આ મામલે મહિલાએ સુરત પોલીસની મદદ માંગતો વીડિયો પોસ્ટ કર્યો હતો.
અગાઉ બારડોલીના યાત્રીઓ સાથે થઇ હતી છેતરપિંડી
તાજેતરમાં જ બારડોલીથી કેદારનાથની યાત્રાએ ગયેલા 84 યાત્રીઓ સાથે ટ્રાવેલ્સ સંચાલકે છેતરપિંડી કર્યાની ઘટના તાજી જ છે. ટ્રાવેલ્સ સંચાલકે 13.21 લાખ રૂપિયામાં સમગ્ર પ્રવાસ નક્કી કર્યા બાદ યાત્રીઓએ કુલ 11.45 લાખ ચૂકવી દીધા હતા. પરંતુ ટ્રાવેલ સંચાલકે કેદારનાથ જવાની પરવાનગી લીધી ન હોય તમામ યાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા અને ટ્રાવેલ સંચાલક યાત્રીઓને મૂકી ત્યાંથી ભાગી ગયો હતો. જેને પગલે પોતાના ખર્ચે ઘરે પરત ફરેલા યાત્રીઓએ બારડોલી ટાઉન પોલીસ મથકમાં ટ્રાવેલ્સ સંચાલક વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી.