શું એવું બને ખરું કે શાળામાં પાઠ્યપુસ્તક વગર જ અભ્યાસકાર્ય થતું હોય, જે વાલીઓના બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરતાં હશે, તેઓ શાળા શરું થવા પહેલાં જ બાળક માટે શાળા દ્વારા આપવામાં આવતી લાંબી લચક યાદી પ્રમાણે પુસ્તકોની વ્યવસ્થા કરી દેતાં હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, સુરતની સરકારી શાળાના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વિના જ છેલ્લા અઢી મહિનાથી અભ્યાસ કરી રહ્યાં છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નેજા હેઠળ સુરત શહેરમાં 335 શાળાઓમાં 1,58.621 વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. આ માટે સમિતિ દ્વારા 3859 શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે અને 500 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવે છે.
સુરત મહાનગર પાલિકાના સહયોગને કારણે હવે સુરતની મોટે ભાગની શાળાઓના મકાનો સુરતની ખાનગી શાળાઓ કરતાં પણ સુંદર અને સુવિધાપૂર્ણ બન્યા છે. પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોના અણઘડ વહિવટને કારણે સતત વિવાદો સામે આવતાં રહે છે.
શૌક્ષણિક સત્રને અઢી મહિના જેટલો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં સુરતની સરકારી શાળાના 30 હજાર વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોની વ્યવસ્થા કરવામાં સમિતિ નિષ્ફળ સાબિત થઈ છે. સામાન્ય રીતે શૌક્ષણિક સત્ર શરુ થવા પહેલા પુસ્તકો શાળામાં આવી જવા જોઈએ.
પરંતુ બાળકો પુસ્તકો વગર અભ્યાસ પણ કરી રહ્યાં છે અને હવે પરીક્ષા પણ આપશે. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા સરકારી શાળાઓમાં બૂટ-મોજા અને ગણવેશ પણ વિનામૂલ્યે વિદ્યાર્થીઓને દરવર્ષે આપે છે.
પરંતુ ચાલુ શૌક્ષણિક સત્ર દરમ્યાન સુરતની ઘણી શાળાઓમાં બૂંટ-મોજા અને ગણવેશ પહોંચાડવામાં પણ સમિતિ નિષ્ફળ રહી છે. ત્યારે આગામી દિવસોમાં વિપક્ષે આ તમામ મુદ્દે આંદોલનની ચીમકી આપતાં તંત્ર દોડતું થયું છે.