વલસાડ પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વાગલધરા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સુમો ગાડી બ્રિજના ડીવાઇડર પર ચડી જતા બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવની મળતી માહિતી મુજબ સુરતના નાનપુરા વિસ્તારના કેટલાક યુવકો દમણ ફરવા ગયા હતા.
ત્યાંથી સુરત પરત ફરતી વખતે વલસાડ નજીક વાગલધરાના હાઇવેના ઓવર બ્રિજના છેડા પર પહોંચતા જ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર પુલના છેડા પરના ડિવાઈડર પર ચડી ગઈ હતી. પુર ઝડપે કાર પુલના ડિવાઈડર પર ચડી જતા કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો.
અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા. તો કારમાં સવાર અન્ય 7 યુવકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. પોલીસે સ્થળ પર પહોંચી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલ્યા હતા.
આ ઘટનાને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. જો કે નજીકના પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.