સુરત: જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલા સામે દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
ત્યારે સુરતમાં તમામ ટેક્સટાઈલ બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો છે. સુરતના વેપારી સંગઠન દ્વારા પણ વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે આતંકવાદીઓએ CRPFના જે કાફલા પર હુમલો કર્યો તે જમ્મૂ-શ્રીનગરની તરફ જઇ રહ્યો હતો અને તેમાં 78 વાહનોમાં 2547 જવાન શામેલ હતા. આ આતંકી હુમલામાં 37 જવાન શહીદ થયા અને લગભગ 20થી વધારે જવાનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પુલવામામાં CRPF જવાનો પર થયેલા આ આંતકી હુમલો પહેલી વખત નથી. એક વર્ષ પહેલા 15 જાન્યુઆરી 2018ના આંતકીવાદીઓએ પુલવામાં પંજગામ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના એક કેમ્પ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આંતકવાદીઓએ CRPFના શિબિર પર હુમલો કરવા કેમ્પમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો પરંતુ જવાનોની સતર્કતાને કારણે તેઓ સફળ ના થયા.