સુરતની દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિ.નું પેપર ફૂટ્યા બાદ ફરી લેવાશે પરીક્ષા, B.Comનું એક પેપર અને BAના 4 પેપર કરાયા હતા રદ
દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિ. દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ
B.Comનું એક પેપર અને BAના 4 પેપર કરાયા હતા રદ
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. પેપર ફૂટ્યુ. આ શબ્દ ગુજરાતમાં દર બે દિવસે સાંભળવા મળે. સરકારી નોકરીઓની પરીક્ષામાં પેપર ફૂટવાના કિસ્સા વધી રહ્યા છે. ધોરણ 10નું પેપર હોય કે પછી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા. ત્યારે રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યુ હોવાનુ સામે આવ્યુ છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં બીકોમનું સેમેસ્ટર 6નું ઇકોનોમિક્સનું પેપર ફૂટ્યુ. B.Comનું પેપર ફૂટ્યાનો યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ દાવો કર્યો છે. સેનેટ સભ્યનું કહેવુ છે કે કોચિંગ ક્લાસમાં એક દિવસ પહેલા પેપર મળ્યુ હતું. પેપર આપે તેના કલાક પહેલા પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.
28 એપ્રિલે લેવાશે ફરી પરીક્ષા
આ સમગ્ર મામલો સામે આવતા યુનિવર્સિટીના સત્તાધીશો એક્શનમાં આવી ગયા હતા. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા B.Comનું એક પેપર અને BAના 4 પેપર તાત્કાલિકના ધોરણે રદ્દ કરવામાં આવ્યા. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની નવી તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. B.Comનું એક પેપર અને BAના 4 પેપરની પરીક્ષા 28 એપ્રિલે લેવાશે.વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. તાત્કાલિક ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે બોલાવવામાં આવી છે. પેપર ફોડનાર સામે કડક કાર્યવાહીનો તખ્તો ઘડાયો છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
ક્યાં સુધી ફૂટતા રહેશે પેપર?
શું પેપર ફૂટ્યા વિના પરીક્ષા યોજાય તે શક્ય જ નથી?
વિદ્યાર્થીઓના દુશ્મન કોણ છે?
શૈક્ષણિક સંસ્થાઓથી ક્યાં ભૂલ થાય છે?
વિદ્યાર્થીઓની મહેનત પર પાણી કોણ ફેરવે છે?
અંગત સ્વાર્થ માટે કોણ પેપર ફોડે છે?
'B.Aના બદલે ઇકોનોમિક્સનું પેપર આપી દીધુ હતું'
વીટીવી ન્યૂઝ દ્વારા સેનેટ સભ્ય ભાવેશ રબારી સાથે વાત કરવામાં આવી . તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે 'આ પેપર એક દિવસ પહેલા લીક થયુ છે. હાલમાં બી.કોમ સેમેસ્ટર 6ની પરીક્ષા ચાલે છે. 19 તારીખે બીએનું પેપર હતુ ત્યારે વિદ્યાર્થીઓને ઇકોનોમિક્સનું પેપર આપી દેવામાં આવ્યું હતું. કોમર્સ ફેકલ્ટીના ડીને આ ભૂલ છુપાવવા માટે પ્રશ્ન પત્ર પાછા લઇ લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે આ અંગે કોઇને કહેતા નહી. વિદ્યાર્થીઓ દ્વારા મારા સુધી આ વાત પહોંચી ગઇ'