સુરતના કિમ ચાર રસ્તા નજીકના પાલોદ ગામની સીમના કિમ-માંડવી રોડ પર મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ૧૫ લોકોનાં મોત થયાં છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. કાળમુખા ડમ્પરે શેરડીના ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ફૂટપાથ પર સૂતેલા ૧૮ શ્રમજીવીને કચડી નાખ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતના પગલે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
સુરતમાં માર્ગ અકસ્માતમાં 15 શ્રમિકોના મૃત્યુ
કીમ ચાર રસ્તા નજીક આવેલા કીમ-માંડવી રોડ ઉપર અકસ્માત
બેકાબૂ બનેલા ડમ્પરચાલકે શ્રમિકોને કચડી નાંખ્યા
ગઇ કાલે મોડી રાતે કિમ-માંડવી રોડ પર એક બેકાબૂ બનેલ કાળમુખા ડમ્પરે ૧પ લોકોનો ભોગ લીધો છે. રાતના ૧ર વાગ્યાના સમયે આ ડમ્પર કિમ ચાર રસ્તાથી માંડવી તરફ જઈ રહ્યું હતું. દરમિયાન સામેથી આવી રહેલ શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ટક્કર થઇ હતી. ટક્કર બાદ ડમ્પરચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની બાજુમાં ફૂટપાથ પર ડમ્પર ચઢાવી દીધું હતું, જ્યાં ૧૮ શ્રમજીવી સૂઇ રહ્યા હતા.
ડમ્પર નીચે કચડાઇ જતાં એક બાળકી સિહત ૧ર લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે છ જેટલા શ્રમજીવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ૧૦૮ વડે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં સારવાર દરમિયાન વધુ ત્રણ વ્યક્તિનો જીવ ગયો હતો, જ્યારે ડમ્પરચાલક અને ક્લીનરને પણ ગંભીર ઈજા થતાં તેમને પણ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા.
આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં શોભના રાકેશ, દિલીપ ઠકરા, નરેશ બાલુ, વિકેશ મહીડા, મૂકેશ મહીડા, લીલા મૂકેશ, મનીષા, ચધા બાલ-બે વર્ષની છોકરી, એક વર્ષના છોકરાનાં મોત નીપજ્યાં છે.
શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના વતની હોવાનું બહાર આવ્યું છે. આ તમામ લોકો દિવસ દરમિયાન કિડયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, જોકે ડમ્પરે આ શ્રમજીવીઓને કચડ્યા બાદ ફૂટપાથની બાજુમાં બનેલી ચારથી પાંચ દુકાનોનો પણ કચ્ચરઘાણ વાળ્યો હતો. અકસ્માતની ઘટનામાં એક છ માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં.
પ્રાપ્ત મળતી પ્રાથમિક જાણકારી મુજબ આ તમામ શ્રમિકો રાજસ્થાનના કુશલગઢના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે.
PM મોદીએ શ્રમિકોના મૃત્યુ પર વ્યક્ત કર્યુ દુ:ખ
સુરતના માંડવી રોડ થયેલા અકસ્માત મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રમિકોના મૃત્યું પર દુઃખ વ્યક્ત કર્યું છે. સમગ્ર દૂર્ઘટનાની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. ઇજાગ્રસ્તોનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. કેન્દ્ર સરકારે મૃતકના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન સરકારને પણ જાણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અકસ્માતના પગલે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને બે-બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે. રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે પણ ટ્વિટ કરી. સુરતમાં થયેલા અકસ્માતના મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સિવાય કેટલાક રાજકીય નેતાઓએ ટ્વિટ કરી દુઃખ વ્યકત કર્યું છે.