સુરતઃ તાજેતરમાં જમ્મુનાં કઠુઆમાં ૮ વર્ષની બાળકી પર ક્રૂરતાથી કરાયેલા ગેંગરેપનાં પડઘા સંયુક્ત રાષ્ટ્ર સુધી પડયાં છે. ત્યારે આ કેસનાં કારણે ભારતની છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણું નુકસાન થયું છે. શહેરનાં પાંડેસરામાં 11 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાનાં પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે.
ત્યારે સુરતનાં સોસિયો સર્કલ ખાતે સ્થાનિક લોકોએ યજ્ઞનું આયોજન કર્યું હતું અને આ યજ્ઞ દ્વારા માસૂમ બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. સ્થાનિક લોકોએ આ માસૂમ બાળકીને ન્યાય અપાવવાની માંગણી પણ કરી છે અને દુષ્કર્મ મામલે કાયદો કડક બનાવવાની પણ માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાંડેસરામાં 11 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ અને ત્યાર બાદ તેની કરાયલી હત્યાનો કિસ્સો એ કાળજું કંપાવી જાય તેવો છે. આ બાળકી પર દુષ્કર્મ ગુજારીને તેનાં શરીર પર 86 જેટલા ઘા મારીને તેની ક્રુરતાભરી હત્યા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપનાં પડઘા પણ સમગ્ર ભારતમાં પડી રહ્યાં છે.
એવામાં તાજેતરમાં જ સુરતમાં બનેલી ઘટનાને લઇ સુરતમાં આવેલ સોસિયો સર્કલ ખાતે ત્યાંની જ આસપાસનાં લોકોએ આ માસૂમ બાળકીને ન્યાય મળે તે માટે યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં તેઓએ વિધિસર મંત્રોચ્ચાર કરીને તે આરોપીઓને સજા મળે તે માટેની લાગણી વ્યક્ત કરી હતી અને આ ઉપરાંત આ બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.