સુરતઃ સ્વતંત્રતા ક્યારે સ્વચ્છંદતામાં બદલાઈ જાય તે આજના જમાનામાં કહેવું મુશ્કલ છે. મોર્ડનાઈઝેશનનો નશો અને પોતે સશક્ત થઈ ગયાની ભાવના ક્યારેક મહિલાઓને અસુરક્ષિત હાથમા સપડાવી દે છે. પ્રેમના ખેલનો ક્યારેક હવસતૃપ્તિ સાથે જ અંત આવી જાય છે તે કાન ખોલીને સાંભળી લેવાની વાત છે.
...અને મૃતક માતા પુત્રીની પણ ઓળખ થઈ
સુરતના ચકચારી માતા પુત્રી હત્યા પ્રકરણમાં પોલીસની સક્રીયતાના કારણે આરોપીઓતો ઝડપાઈ ગયા. અને મૃતક માતા પુત્રીની પણ ઓળખ થઈ ગઈ. પરંતુ તમને આ ઘટનાના મૂળિયા જાણીને દુઃખદ આશ્ચર્ય થઈ આવશે. પાંડેસરાના સોમેશ્વરનગરમાં રહેતા હર્ષસહાય ગુર્જરની માતા-પુત્રીની હત્યાના કેસમાં ધરપકડ કરાઇ હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાંચની ટીમે મૃતક હર્ષસહાયની પત્ની રમાદેવી તથા મૃતક મહિલાની હર્ષસહાય સાથે ઓળખ કરાવનાર કુલદીપની પણ પૂછ પરછ કરી હતી. બંનેના વિગતવાર નિવેદન પણ નોંધાયા હતા.
દરમિયાન આ કેસમાં કુલદીપના નિવેદનના આધારે બંને કમભાગી માતા-પુત્રીની ઓળખ થઇ હતી. કરપીણ હત્યાના 3 સપ્તાહ બાદ બંનેની ઓળખ થતા વાલીવારસોને લાશનો કબજો સોંપી દેવાયો હતો અને બંનેની લાશની અંતિમક્રિયા પણ સુરતમાં જ કરવામાં આવી હતી.
આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે...
પોલીસ તપાસમાં માતા-પુત્રી છ મહિનાથી પરિવારથી વિખૂટી હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત છ મહિને જ્યારે પરિવારને ભાળ મળી તો બંનેના મૃતદેહ હાથ લાગ્યા હતા. મહિલા પરિવારજનોને ગેરમાર્ગે દોરી પોતાની બાળકીને લઇ કુલદીપ પાસે ચાલી ગઇ હતી. આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે હત્યાનો ભોગ બનેલી માતા-પુત્રી છેલ્લાં છ મહિનાથી પરિવારથી વિખૂટી હતી.
પહેલા પતિનું અવસાન...
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક મહિલા મૂળ યુપીની વતની છે અને છેલ્લાં 12 વર્ષથી રાજસ્થાનના સિકરમાં રહેતી હતી. પહેલા પતિનું અવસાન થયા બાદ તેણીએ રાજસ્થાનના બુંદી ગામના ફૂટવેરના વેપારી સાથે બીજા લગ્ન કર્યા હતા. દરમિયાન ગત 22મી ઓટોબરે સવારે 8 વાગ્યે મહિલા 10 વર્ષની બાળકીને લઇ નીકળી ગઇ હતી. પતિને પિયર જવાનું કહીને મહિલા એસટી બસમાં ચાલી નીકળી હતી. સાંજે ચારેક વાગ્યે પતિને કોલ કરી પોતે પિયર પહોંચી ગયાની વાત પણ કરી હતી.
હું તકલીફમાં છું...
જોકે બીજા દિવસે એટલે કે 23મી ઓક્ટોબરે પતિને કોલ કરી હું તકલીફમાં છું એવી વાત કરી હતી. બાદમાં તા.25મીએ કોલ કરી કોઇ ટેન્શન નથી એવી વાત પણ કરી હતી. જોકે ત્યારબાદ પતિ સાથે કોઇ સંપર્ક થયો ન હતો. તા.27મી ઓટોબરે પતિએ બુંદી ગામના કોટવાલી પોલીસ મથકમાં માતા-પુત્રીના મીસિંગ થવા અંગેની નોંધ પણ કરાવી હતી.
ભાળ તો મળી હતી પણ મોડું થઈ ગયું
છ મહિનાથી બંને પરિવારના કોઇ સંપર્કમાં ન હતી. જ્યારે સુરત પોલીસ ફોટોગ્રાફ લઇને રાજસ્થાન પહોંચી તો બંનેની ભાળ તો મળી હતી પણ મોડું થઈ ગયું હતું. પરિવારને બંનેની લાશ હાથ લાગી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પતિને પિયર જવાનું કહીને નીકળેલી મહિલા કુલદીપ પાસે પહોંચી ગઇ હતી. કુલદીપે તે મહિલાને હર્ષ ગૂર્જરે હવાલે કરી દીધી હતી. જો તે મહિલાએ લાલચમાં તણાઈ પોતાના પરિવાર સાથે બનાવટ ન કરી હોત અને જો થોડી હિંમત દાખવી હોત તો પોતાની માસૂમ બાળકી આજે જીવિત હોત!