દેવોના દેવ મહાદેવની પૂજાનું મહત્વ અનેરૂં જ છે વળી આસ્થાની વાત આવે ત્યારે માન્યતા અને રીત-રસમોની પણ વાત આવે. સુરતના ઉમર ગામમાં આવેલ રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં એક અનોખી રૂઢી છે. અહિં મહાદેવને દૂધ, પાણી કે બિલિની સાથે સાથે જીવતા કરચલા ચઢાવવામાં આવે છે. મકરસંક્રાત નિમિત્તે મહાદેવની પૂજા કરવામાં આવે છે.
સુરત ઉમરાના મંદીરમાં જીવતા કરચલા ચડાવવાની અનોખી પરંપરા
શરીર દોષથી મુક્તિ મેળવવા અનેક લોકો ચડાવે છે કરચલા
રામનાથ ઘેલા મંદીરમાં સેંકડો કરચલા ચડ્યા
ભારતમાં એવા ઘણા મંદિર છે જે પોતાની માન્યતાઓ અને વિશેષતાઓને લઇને અદ્ભુત માનવામાં આવે છે. ભગવાન પર દરેક લોકોને આસ્થા હોય છે અને આ આસ્થાથી પ્રેરિત થઇને લોકો ભગવાનને બધું અર્પણ કરવા તૈયાર રહે છે. આપણા દેશમાં એવા ઘણા મંદિર છે જ્યાં અનોખી અને હેરાન કરે એવી પરંપરા હોય છે. આવી જ પરંપરા સુરતમાં સ્થિતિ શિવ મંદિરમાં છે જ્યાં ભક્તો જીવતાં કરચલાં ચઢાવે છે.
200 વર્ષ જૂનુ છે મંદિર
સુરતના ઉમર ગામમાં સ્થિતિ રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે. જાણવા મળી રહ્યું છે કે 200 વર્ષ જૂના મંદિરમાં ભગવાન રામના બાણથી અહીંયા શિવલિંગ પ્રગટ થયું હતું. અહીંયા ભક્ત ભગવાન ભોલેનાથના શિવલિંગ પર જીવતા કરચલાં ચઢાવે છે. જો કે આ વર્ષમાં એક દિવસ એટલે કે ષડતિલા એકદશીના દિવસે જ હોય છે.
તાપી પુરાણમાં છે આ વાતનો ઉલ્લેખ
રામનાથ મંદિરના સ્થાન પર હજારો વર્ષ પહેલા જંગલ હતું. ભગવાન રામ આ જગ્યા પર પધાર્યા ત્યારે તેમને પોતાના પિતા દશરથનો મૃત્યુ સંદેશ મળ્યો. ત્યારબાદ ભગવાન રામે તાપી નદીમાં જ પોતાના પિતાની તર્પણ વિધિ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીરામે દરિયા દેવને પ્રાર્થાના કરી ત્યારબાદ પોતે દરિયા દેવને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તર્પણ વિધિ પૂર્ણ કરાવી. ત્યારબાદ ભગવાન રામે તીર માર્યું અને ત્યારબાદ શિવલિંગ પ્રગટ થયું.
મહાદેવને કરચલો ચઢાવવાથી કાનના રોગથી મુક્તિ મળવાની માન્યતા
તર્પણ વિધિ બાદ શ્રીરામ નાસિક ચાલ્યા ગયા. તર્પણ વિધિ બાદ ભરતી આવવાના કારણે મોટી સંખ્યામાં કરચલાં તરીને એ જગ્યા પર પહોંચ્યા. ત્યારબાદ શ્રીરામે બ્રાહ્નણોને જણાવ્યું કે આ તમામ જીવોનો ઉદ્ધાર કરવામાં આવે. આ સાથે એવું વરદાન પણ આપ્યું કે જે માણસ કાનના રોગથી પીડિત હશે તો એ જીવતો એક કરચલો શિવલિંગ પર ચઢાવે. કરચલો ચઢાવવાથી એ વ્યક્તિને કાનના રોગથી મુક્તિ મળશે. આ વાતનો ઉલ્લેખ તાપી પુરાણ ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે.
અર્પિત કરેલા કરચલાને તાપી નદીમાં કરાય છે વિસર્જિત
મંદિરના પૂજારી અનુસાર જ્યારે આ મંદિરમાં દર વર્ષે લોકો ષડતિલા એકાદશીના દિવસે આવીને કરચલા ચઢાવે છે. માન્યતા છે કે આવું કરવાથી સ્વાસ્થ્ય ઠીક રહે છે જેનો ઉલ્લેખ રામાયણમાં પણ મળ્યો છે. તો બીજી એક કથા અનુસાર ભગવાન રામને અહીંયા તરીને આવેલા એક કરચલાંએ પ્રસન્ન કરી દીધા હતા ત્યારબાદ ભગવાનના આશીર્વાદથી આ શિવલિંગ પર કરચલા ચઢાવવામાં આવે છે. પૂજા દરમિયાન ચઢાવવામાં આવેલા કરચલાને નજીક આવેલી તાપી નદીના પાણીમાં કોઇ નુકસાન પહોંચાડ્યા વગર પંડિતો દ્વારા વિસર્જિત કરી દેવામાં આવે છે.