સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના PIનો એક વીડિયો સોશિયલ મીડિયામાં મોટાપાયે વાયરલ થઇ રહ્યો છે. સુરતની એક સોસાયટીમાં યોજાયેલ કાર્યક્રમમાં PI એમ. કે. ગુર્જરએ હાજરી આપી હતી. જે દરમિયાન તેમણે મંચ પરથી સમાજની કડવી વાસ્તવિકતા રજૂ કરી હતી. લોકડાઉન બાદ સામાજિક સંબંધોમાં આવેલા પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, કોરોના કાળમાં ઓનલાઇન અભ્યાસએ શાળા શિક્ષણનો પર્યાય બન્યો હતો પરંતુ ઓનલાઈન અભ્યાસને પગલે મોટા ભાગના બાળકો ગેમના રવાડે ચડી ગયા છે અને ઓનલાઈન ગેમના ચક્કરમાં ઘરમાં ચોરી કરતા થયા હોવાનું પણ સામે આવ્યું છે.
એક વર્ષમાં માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાની 390 અરજી મળી
મહત્વનું છે કે કોરોનાને વકરતો અટકાવવા અમલી કરાયેલા લોકડાઉન બાદ લોકોની જીવનશૈલીમાં ધરમૂડથી બદલાવ આવ્યા છે. એટલું જ નહી સામાજિક સંબંધો પર સંકટ આવ્યું હોય તેવી સ્થિતિ જન્મી છે. વાયરલ વિડીયોમાં સરથાણા પોલીસ સ્ટેશનના PI એમ.કે ગુર્જરએ યંગ જનરેશનની વાસ્તવિકતા વર્ણાવી જણાવ્યુ હતું કે, કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે, જેમાં બાળકે પોતાના જ ઘરમાં 13 હજારથી સાડા ચાર લાખ રૂપિયા સુધીની ચોરી કરી હોય. આટલું જ નહીં PI ગુર્જરે છેલ્લા એક વર્ષની પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે છેલ્લા એક વર્ષમાં માત્ર સરથાણા પોલીસ સ્ટેશનમાં જ માતા પિતાની મરજી વિરુદ્ધ દીકરીએ લગ્ન કર્યાની 390 ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 23 દીકરીઓ તો 13 થી 17 વર્ષની એટલે કે, સગીરા હોવાના ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આમ સમાજના પવિત્ર સબંધ અને મૂલ્યો ઘટયા હોવાની અરજીના આંકડા ચાડી ખાઈ રહ્યા છે.
બાળકો સાથે માતા-પિતા ઘરસભા કરે: PI
કોરોનાકાળમાં વૃત્તિ બદલાઈ અને સ્વહિતના મોહમાં વર્ષો જૂના સંબંધો વિસરાયા હોવાના આ બોલતા પુરાવા છે ત્યારે PI એમ.કે ગુર્જરએ પોતાના બાળકો સાથે માતા-પિતા ઘરસભા કરે અને બાળકોનું મનોવલણ જણાવ પ્રયાસ કરે તેવી અપીલ કરી હતી. આ સમય વિચારવાનો હોવાનું જણાવી પીઆઈએ બે પેઢી વચ્ચે વધેલા વૈચારીક અંતર અંગે બદલાવ લાવવા વિડિયોના મધ્યમથી દરેક માતા-પિતાને અપિલ કરી હતી.