સુરતમાં વકરેલા વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસ આક્રમણ બની છે. આ મામલે પોલીસ કમિશનર અજય તોમરે વ્યાજખોરીના ચૂંગલમાં લોકોને ન ફસાવા આપીલ કરી છે.
સુરતમાં વ્યાજખોર વિરુદ્ધ પોલીસ આક્રામક
પોલીસ કમિશનર અજય તોમરનું નિવેદન
વ્યાજખોરી કરતા લોકો લોહી ચૂસતા હોય તેમ વસૂલાત કરે છે
સુરતમાં વ્યાજખોર જાણે લૂંટારુ બન્યા હોય તેમ જરૂરિયાતમાંદોના લોહી ચૂસી ચામડાતોડ વ્યાજ વસુલી રહ્યા છે. ત્યારે વ્યાજખોરો વિરુદ્ધ સુરત પોલીસ આક્રામક બની છે અને પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂધ આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે વધુમાં લોકજાગૃતિ માટે પણ પોલીસ તંત્ર કાર્યવાહી કરી રહ્યું હોવાનું પોલીસ કમિશનર અજય તોમરે એક નિવેદનમાં જણાવ્યું હતુ.
વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરતાં પતિ-પત્નીને પોલીસે બચાવ્યા
સુરતમાં વ્યાજખોર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી મુદે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, વ્યાજખોરી કરતા લોકો સામાન્ય માણસનું લોહી ચૂસતા હોય તેમ વસૂલાત કરતા હોવાનુ ધ્યાને આવ્યું છે. આથી લોકોમાં જાગૃતિ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં અમરોલી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર વિરુદ્ધ અરજી આવી હતી. જેથી અરજીની ગંભીરતાને લઇને અમરોલી પોલીસ તાત્કાલિક અરજદારના ઘરે પહોંચી હતી. જ્યાં તપાસ હાથ ધરતા પતિ-પત્ની સુસાઇડ નોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કરવાની તૈયારીમાં હતા આ વેળાએ પોલીસે સમયસર પહોંચી પતિ-પત્નીને આપઘાત કરતાં અટકાવી સમજાવ્યા હતા.
વ્યાજખોરીના ચૂંગલમાં લોકો ફસાય નહીં તેવી અપીલ
પોલીસે આ દંપતીની પૂછપરછ હાથ ધરતા તેઓએ 7 લાખ રૂપિયા 17 ટકા જેવા માસમોટા માસિક વ્યાજે લીધા હતા. જે દંપતીએ 17 લાખ ઊછીઉધારા કરીને ચૂકવી દીધા છતાં આરોપીઑએ નાણાની ઉઘરાણી ચાલુ હતી. આથી તેમના ત્રાસથી કંટાળી દંપતીએ મોત વ્હાલું કરી લેવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. વધુમાં અન્ય એક કેસમાં વ્યાજખોરોએ દંપતીને રૂ.2.60 લાખ માસિક 5 ટકા ના દરે રકમ આપ્યા બાદ તેના મકાનના દસ્તાવેજ પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસે આ બે વ્યાજખોર હરીશ નેભણા અને દિલીપ વઢવાનીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અંતમાં વ્યાજખોરીના ચૂંગલમાં લોકો ફસાય નહીં તેવી પોલીસ કમિશનર અજય તોમરે અપીલ કરી હતી.