કોરોનાના વધતા કેસ અને ન્યૂયરને લઇને સુરત પોલીસ સખ્ત, 11 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ, જાહેરનામાનો ભંગ કરશો તો દંડાશો
સુરતમાં કલમ 144 લાગુ કરાઇ
સુરતમાં 4 લોકોના ભેગા થવા પર પ્રતિબંધ
સુરતમાં સભા કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ
કોરોના કેસમાં અચાનક મોટો ઉછાળો આવતા હવે ગુજરાતની દરેક મહાનગરપાલિકાઓ સતર્ક બની ગઈ છે. સુરત તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતાં પ્રકોપને લીધે સુરતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેથી હવે સુરતમાં 4 લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સુરતમાં સભા કે સરઘસ કાઢવાનો પણ મનાઈ હુકમ પારિત કરી દેવામાં આવ્યો છે. 11 જાન્યુઆરી સુધી 144ની કલમ લાગુ રહેશે તેવુ જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અને સાથે કડક આદેશ અને અમલવારીના પણ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂનો સમય રાત્રે 11 થી 5
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહ વિભાગે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો અમલમાં મુક્યા છે. આ અમલ 10 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરની ગાઇડલાઇનની જેમ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલ છે.1) 31 ડિસેમ્બર 2021 સુધી અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં દરરોજ રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.આ 8 શહેરોમાં તમામ દુકાન, રેસ્ટોરન્ટ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિયક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રે 12 કલાક સુધી ખુલ્લા રાખી શકાતા હતા. જોકે તેમાં ફેરફાર કરતા 25 ડિસેમ્બર 2021થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ ગાઇડલાઇન 30 નવેમ્બરના હુકમોની અન્ય બાબતો 31 ડિસેમ્બર સુધી યથાવત્ રહે છે.
દિલ્હીમાં આજથી જ કડક પ્રતિબંધો લાગુ
નોંધનીય છે કે દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ઓમિક્રૉન વેરિયન્ટ સૌથી વધારે ફેલાઈ રહ્યો છે ત્યારે આજે જ દિલ્હીમાં યેલૉ અલર્ટ આપવામાં આવ્યું છે જેમા શાળા કોલેજ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ થિયેટરો અને જિમ પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ સિવાય તમામ જગ્યાઓ પર જેમ કે હોટલ સહિતની જગ્યા પર માત્ર 50 ટકા કેપીસીટી સાથે જ લોકો જઈ શકશે અને આ જ નિયમ પરિવહન માટે પણ લાગુ કરવામાં આવ્યો છે.