ગુજરાતમાં કોરોનાના કેસનો સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ અને ત્યારબાદ રાત્રિ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં પણ કોરોનાના કેસ વધતા બેઠકોનો દોર શરૂ થયો છે. સુરત પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિક કમિશનર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ દરમિયાન કોરોનાના કેસ અંગે સમિક્ષા કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અજય તોમરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
સુરત મહાપાલિકા કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે બેઠક
સુરતમાં અમદાવાદ જેવું ન થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છેઃ પો.કમિ.
પાન-મસાલાની દુકાનો પર ટોળા બંધ કરોઃ પો.કમિ.
બેઠક બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, સુરતમાં મુસાફરોએ ટિકિટ, પાસ જોડે રાખવા. જે ગામડાઓમાંથી સુરત આવે છે તેમણે કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરાવવો. તેમનામાં લક્ષણ ન હોય પરંતુ કોરોના હોઇ શકે છે. તેથી માસ્ક પહેરવું જરૂરી છે. બહારથી આવો તે પહેલા ટેસ્ટ કરાવો. જો લક્ષણો જણાય તો RT-PCR ટેસ્ટ કરાવો. વધુમાં વધુ ટેસ્ટ કરાવો.
સુરતમાં અમદાવાદ જેવું ન થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે: શહેર પોલીસ કમિશ્નર
તોમરે કહ્યું કે, હાલના સમયમાં સૌથી મોટો દુશ્મન કોરોના છે, તેની સામે સૌએ સાથે મળીને લડવાનું છે. જો સાવધાન નહીં રહો તો અમદાવાદ જેવી સ્થિતિ સર્જાશે. સુરતમાં આવી નોબત ન આવવી જોઇએ કે ફરીથી કરફ્યુ જેવી સ્થિતિ સર્જાય. સુરતમાં કોરોનાના સ્થિતિ ફરી વકરે તેવું નહીં થવા દઇએ.
ટેસ્ટિંગ બુથની SMC દ્વારા કરાઇ છે વ્યવસ્થા
કમિશનરે જણાવ્યું કે, મ્યુ. સાથે વાત થઇ છે. તેમણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. ટેસ્ટિંગ બુથ લગાવાયા છે. ટોલોનાકા પર ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. હજુ પણ વધુ બુથની જરૂરિયાત પડશે તો બુથ શરૂ કરાશે.
પાન-મસાલાની દુકાનો પર ટોળા બંધ કરો
ટેક્સટાઇલ માર્કેટમાં કે કોઇપણ અન્ય જગ્યાએ સાથે બેસીને જમવાનું ટાળો. અલગ અલગ બેસીને જમો. પાનની દુકાનો પર ટોળા ન થાયો. પાન-મસાલો લઇને તુરંત નીકળી જાઓ. ત્યાં પાન ખાઇ અને ત્યાં જ ન થૂંકો.
સુરતમાં કોરોનાની સ્થિતિ પર મહાપાલિકા કમિશનરનું નિવેદન
હાલ કોરોના સ્થિર છે, બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. માસ્ક વગરના લોકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે. ભીડ થશે તો મહાપાલિકા અને પોલીસ મળીને કાર્યવાહી કરશે.