મફતમાં ચીજવસ્તુ આપવાના કારણે કરદાતા પર બોજ વધશે:PM
રાજકીય સ્વાર્થ માટે કેટલાક લોકો આવી જાહેરાતો કરે છે: વડાપ્રધાન
ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઑ તેજ બની છે. ગુજરાતનો ગઢ જીતવા રાજકીય પક્ષના આગેવાનો નિતનવા વાયદાઑ કરે છે. તો કોઈ ગેરંટી આપી રહ્યા છે. આમ જનતાને પોતાની તરફેણમાં બનાવવા માટે રાજકીય પાર્ટીઓ ઘણી લોકપ્રિય જાહેરાતો કરે છે. જેને 'રેવાડી કલ્ચર' કહેવામા આવે છે. આ 'રેવડી કલ્ચર' દેશના વિકાસ માટે ખૂબ જ ઘાતક હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. મહત્વનું છે કે, સુરત ટેક્સટાઇલ માર્કેટથી શરૂ થયેલી તિરંગા યાત્રા સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન વખતે રેવડી કલ્ચર પર બોલ્યા હતા.
આવા પ્રકારના નિર્ણયો બાળકોના અધિકાર છીનવી લેશે: PM
ચૂંટણી સમયે થતાં લોભામણા વાયદા મુદ્દે પ્રધાનમંત્રી મોદીનું સૂચક નિવેદન આપ્યું હતું. જેમા તેમણે જણાવ્યું હતું કે, મફતમાં ચીજવસ્તુ આપવાના કારણે કરદાતા પર બોજ વધશે.પોતાનો રાજકીય સ્વાર્થ પૂરો કરવા માટે અમુક પક્ષના કેટલાક લોકો આવી મોટી મોટી અને લોકપ્રિય જાહેરાતો કરી રહ્યા છે. આવા લોકો રાજકીય સ્વાર્થ માટે મફત પેટ્રોલ-ડીઝલની પણ જાહેરાત કરે છે. આવા પ્રકારના નિર્ણયો બાળકોના અધિકાર છીનવી લેશે. આવા વાયદા દેશને આત્મનિર્ભર બનવામા અડચણરૂપ બનશે. એટલું જ નહિ આવી સ્વાર્થી રાજનીતિને લઇને દેશના ઈમાનદાર કરદાતાઑનો બોઝ પણ વધશે. આમ પોતાનો સ્વાર્થ સંતોષવા આવી જાહેરાતો કરવા વાળા આ રેવડી કલ્ચરવાળા ક્યારેય તમારા માટે ટેકનોલોજી સાથે કદમ નહીં મળાવી શકે. તે ખોટા વાયદાઑ જ કરશે અને લોભામણા વાયદા દેશને આત્મનિર્ભર બનતા રોકશે તેમ અંતમા PM મોદીએ જણાવ્યું હતું.
રેવડી કલ્ચરનો અંત લાવવા સુપ્રીમ કોર્ટે પણ અપનાવ્યું કડક વલણ
ચૂંટણી જીતવા માટે વધી રહેલા રેવડી કલ્ચરનો અંત લાવવા સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે આ ગંભીર મુદ્દો છે.જેને લઇને સુપ્રીમ કોર્ટે 'રેવડી કલ્ચર'નો અંત લાવવા માટે નિષ્ણાત સંસ્થાની રચના કરવાની હિમાયત કરી હતી. આ સંસ્થામા કેન્દ્ર, વિપક્ષી રાજકીય પક્ષો, ચૂંટણી પંચ, નીતિ આયોગ,આરબીઆઈ અને અન્ય હિસ્સેદારોનો સમાવેશ થવો જોઈએ. વધુમા રેવડી કલ્ચરનો મુદ્દો દેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર કરતો હોવાનું પણ કોર્ટે ઉમેર્યું હતું. જેથી નિષ્ણાત સંસ્થાની દરખાસ્ત માંગવામાં આવી છે. જે પીઆઈએલ પર આવતીકાલે 11 ઓગસ્ટના રોજ સુનાવણી થશે. એટલું જ નહિ હવે રેવડી કલ્ચર પર રોક લગાવવા ચૂંટણી આયોગ પણ કમિટી બનાવવાના પક્ષમાં આવ્યું છે.