સુરતના ભટાર વિસ્તારમાં આવેલી જ્ઞાનગંગા સ્કૂલ નીચે બેનર બનાવાની ફેકટરીમાં આગ લાગતા 150 જેટલા વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા હતા અને આગની ઘટના બાદ હવે ફાયર વિભાગ દ્વારા જ્ઞાનગંગા શાળાને પણ સીલ કરી દેવાઇ છે.
ચાલુ શિક્ષણ સત્ર દરમિયાન શાળાને સીલ મારી દેતા 150 બાળકોના ભણતરને અસર થઇ છે. જ્યારે અહીં અનેક સવાલો ઉભા થાય છે. સૌથી મોટો સવાલ એ છે કે, શિક્ષણ સત્ર શરૂ થાય તે પહેલા કેમ કોઇ કાર્યવાહી ન કરાઇ? શાળાને સીલ તો કરી દીધી પરંતુ બાળકો માટે અન્ય કોઇ વ્યવસ્થા કરી છે ખરી? જો સુરત મનપાએ પહેલા યોગ્ય તપાસ કરી હોત તો શાળાને સીલ કરવાની જરૂર ન પડત.
સુરતમાં ભટાર રોડ પર આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે પ્લાસ્ટિકના ગોડાઉનની બાજુમાં આવેલ બાલકૃષ્ણ કોમ્પલેક્ષમાં જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયમાં 150 જેટલા વિદ્યાર્થીઓ હતા. જો કે ફાયર વિભાગે વિદ્યાર્થીઓને સહી સલામત રીતે શાળાની બહાર કાઢ્યા હતા.
આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ ગઇકાલે નિવેદન આપ્યુ હતુ. જેમાં તેમણે સ્કૂલ માન્યતા પ્રાપ્ત હોવાની વાત કરી હતી. તો જ્યાં આગ લાગી તે સ્થળથી બાળકો દુર હતા. બાળકોને સલામત બહાર ખસેડાયા હતા તેવી વાત પણ કરી હતી. તેમજ શાળા પાસે ફાયરની NOC છે કે નહીં તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.