સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ વધુ એક અગ્નિકાંડ સામે આવ્યો છે. સુરતના ભટાર રોડ પાસે આવેલી જ્ઞાનગંગા સ્કૂલની બાજુમાં આવેલા બાલકૃષ્ણ કોમ્પલેક્ષના નીચેના ભાગમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી.
ત્યારે કોમ્પેલેક્ષમાં આગ લાગતા બાજુમાં આવેલી શાળામાંથી 150 બાળકોને સુરક્ષિત બહાર કઢાયા હતા. આગ શાળા સુધી પહોંચે તે પહેલા બાળકોને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, પરંતુ એકાએક આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. બાળકોમાં ભય ફેલાયો હતો. દોડધામ મચી ગઈ હતી. જોકે ઘટના અંગે જાણ થતા જ તાત્કાલીક ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને વિદ્યાર્થીઓનું રેસ્ક્યું કરાયું હતું.
સ્કૂલને સીલ કરાઇ
જો કે ફાયર વિભાગે વિદ્યાર્થીઓને સહી સલામત રીતે શાળાની બહાર કાઢ્યા હતા. પરંતુ ફાયરબ્રિગેડને સ્કૂલમાં યોગ્ય સાધનો ન મળ્યા અને સાથે જ આવી દુર્ઘટના વખતે યોગ્ય સ્ટ્રક્ચર ન હોવાના કારણે સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. તો ફાયરની એનઓસી પણ ન હોવાથી સ્કૂલને સીલ કરવામાં આવી છે. જો કે આગની દુર્ઘટનામાં સ્કૂલના કોઈપણ વિદ્યાર્થીને ઈજા પહોંચી ન હતી. સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.
ત્યારે અહિંયા સવાલ એ છે કે, તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ તંત્રની કેમ આંખ નથી ખુલી ? શું સુરત તંત્રએ તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ કોઇ બોધપાઠ નથી લીધો ? સુરતમાં હજુ કેટલા અગ્નિકાંડ થતા રહેશે ? શું તક્ષશિલા અગ્નિકાંડ બાદ તંત્રએ તપાસના નામે માત્ર નાટક જ કર્યું છે ? શું તંત્રને બાળકોના જીવની કંઇ પડી જ નથી ?
10 વર્ષથી કોમ્પલેક્ષમાં ચાલે છે સ્કૂલ
આ કોમ્પલેક્ષમાં ઇન્ડેન ગેસ એજન્સીની ઓફિસ પણ આવેલી છે. ઓફિસની બહાર આગના સમયે ગેસની બોટલો પણ પડી હતી. જ્ઞાનગંગા સ્કૂલ બાલકૃષ્ણ કોમ્પલેક્ષના પહેલા માળે ચાલે છે. કોમ્પલેક્ષમાં સ્કૂલ ચલાવવા પર તંત્રએ પ્રતિબંધ લગાવેલો છે. પ્રતિબંધ હોવા છતાં કોમ્પલેક્ષમાં સ્કૂલ ચાલી રહી છે. સ્કૂલને કોમ્પલેક્ષમાં ચલાવવાની મંજૂરી કોને આપી? છેલ્લા 10 વર્ષથી કોમ્પલેક્ષમાં જ સ્કૂલ ચાલી રહી છે.
સ્કૂલની બાજુમાં આગ મામલે જાગ્યું તંત્ર
ગોડાઉનમાં આગની ઘટના બાદ તંત્ર જાગ્યું છે. પ્લાસ્ટિકના ગોડાઉનની બાજુમાં આવેલી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક વિરૂદ્ધ ફાયર વિભાગ ફરિયાદ નોંધાવશે. સ્કૂલમાં ફાયર સેફ્ટીના અભાવ મામલે ફરિયાદ નોંધાવશે.
રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ
નાયબમુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરતમાં સ્કૂલની બાજુના ગોડાઉનમાં આગની ઘટના અંગે તપાસ કરાવાશે. સ્થાનિક તંત્ર પાસેથી ખુલાસો માંગવામાં આવશે. તક્ષશિલાની ઘટના બાદ તમામ નિયમો અનુસરવા સુચના અપાઇ હતી.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન
સુરત આગ કેસમાં શિક્ષણમંત્રીએ બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, આગ શાળામાં નહી ફેક્ટરીમાં લાગી હતી. બાળકોને સલામત રીતે બહાર કઢાયા હતા. જવાબદારોને છોડવામા નહીં આવે.
સુરત પોલીસ કમિશ્નરનું નિવેદન
સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ નિવેદન આપ્યુ હતુ. જેમાં તેમણે સ્કૂલ માન્યતા પ્રાપ્ત હોવાની વાત કરી હતી. તો જ્યાં આગ લાગી તે સ્થળથી બાળકો દુર હતા. બાળકોને સલામત બહાર ખસેડાયા હતા તેવી વાત પણ કરી હતી. તેમજ શાળા પાસે ફાયરની NOC છે કે નહીં તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાને મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સુરતની એક ઘટના ભુલાઈ નથી ત્યારે બીજી ઘટના બની. ભટારમાં બનેલ ઘટનાથી 250 બાળકોના જીવ જોખમમાં મુકાયા. સરકારની બેદરકારીને કારણે બાળકોના જીવ જોખમમાં મુકવાનો ખેલ ચાલી રહ્યો છે.
SMCના દાવા પોકળ સાબિત
તક્ષશીલાકાંડ બાદ સઘન તપાસના SMCના દાવા પોકળ સાબિત થયા છે. મોટા દાવા કર્યા પણ કોઇ નક્કર કાર્યવાહી નહીં. હજુ પણ સુરતમાં અનેક સ્કૂલો કોમ્પલેક્ષમાં જ ચાલી રહી છે. સરકારના આદેશ બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી નહીં. સ્કૂલ માફિયાઓ રાજ્યમાં બેફામ બની રહ્યાં છે. સરકારના નિયમોનો ભંગ કરી સ્કૂલ માફિયાઓ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. બેફામ નાણાં કમાવા સ્કૂલ માફિયાઓ વિદ્યાર્થીઓની સુરક્ષાની પણ ચિંતા કરતા નથી. સુરતમાં ઠેર-ઠેર ચાલી રહી છે સ્કૂલના નામે વેપારની હાટડીઓ.