સુરત આમ આદમી પાર્ટી માટે એપી સેન્ટર છે અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી ઘરોબો ધરાવતા ચહેરાની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી થવા જઈ રહી છે.
દિલ્લીના DyCM મનીષ સિસોદિયા સુરતમાં
મનીષ સિસોદિયાને મળવા પહોંચ્યા મહેશ સવાણી
મહેશ સવાણી છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ
મહેશ સવાણી આજે AAPમાં જોડાશેઃ સૂત્ર
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં મોટો દાવ કરવાની ફિરાકમાં છે. અરવિંદ કેજરીવાલની નજર હવે ગાંધીનગરની ગાદી પર છે ત્યારે અત્યારથી AAP દ્વારા મોટા પાયે જાણીતા ચહેરાઓની એન્ટ્રી કરાવીને માહોલ ઊભો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે સુરતના પ્રવાસે છે ત્યારે સુરતના જાણીતા ઉદ્યોગપતિ આજે AAPમાં જોડાય તેવી શક્યતા છે.
જાણીતા ઉદ્યોગપતિની AAPમાં એન્ટ્રી?
સુરતના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી મનીષ સિસોદિયાને મળવા પહોંચ્યા છે. સુરત આમ આદમી પાર્ટી માટે એપી સેન્ટર છે અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી ઘરોબો ધરાવતા ચહેરાની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી થવા જઈ રહી છે તે સમાચારથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આ મુદ્દે સત્તાવાર જાહેરાત પત્રકાર પરિષદમાં કરવામાં આવશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 27, 2021
ગુજરાતની હવા બદલાઈ રહી છે: મનીષ સિસોદીયા
સુરત એરપોર્ટ દ્વારા આપ નેતા ઈસુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું હતું અને સુરતમાં આગમન બાદ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું જ્યારથી ગુજરાત આવી રહ્યો છું દરેક વખતે અનુભવું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને ઉર્જા વધતી જઈ રહી છે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ સતત વધતો જઈ રહ્યો છે અને ગુજરાતની હવા બદલાઈ રહી છે. આજે આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
ભાજપ અને કોંગ્રેસ પર આપની અસર થશે?
નોંધનીય છે કે આ પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદના પ્રવાસે આવ્યા હતા જ્યાં પત્રકાર ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. આમ આદમી પાર્ટીનો દાવો છે કે તે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના એક મોટા વિકલ્પ તરીકે બહાર આવશે. જ્યારે બીજી તરફ ભાજપનો આરોપ છે કે આપ કોંગ્રેસની બી ટીમ છે અને કોંગ્રેસનો પણ આરોપ છે કે ભાજપને જીતાડવા માટે જ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે.