ભારતમાં પારસી દંપતીનાં છુટાછેડાનો પ્રથમ કિસ્સો સામા આવ્યો છે. વ્યારાના પારસી દંપતિના લગ્ન વર્ષ 2009માં થયા હતા. જે બાદ પતિ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ,પુત્ર પ્રાપ્તિની ઝંખનાને લઈને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. રૂ.10 લાખ દહેજ પેટે માંગ્યા હોવાનો પણ આક્ષેપ પત્ની દ્વારા લગાવવામાં આવ્યો હતો. સુરત તથા પુનામાં જ ચાલતી સ્પેશ્યલ પારસી ડીસ્ટ્રીક્ટ મેટ્રિમોનિયલ કોર્ટ તથા પારસી જ્યુરી દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર પતિના ત્રાસથી છૂટાછેડા માંગતી પત્નીની અરજી મંજૂર કરવામાં આવી હતી.
કોણે કોણે આપ્યો ઐતિહાસિક ચુકાદો
પારસી મેટ્રીમોન્યલ કોર્ટના જજ આર.કે.દેસાઈ, પારસી જ્યુડી ડેલીગેટ્સ દસ્તુર ફારૃક કેરસી રૃવાલા, પરવીન કરંજીયા, દારાયસ દસ્તુર, ફારૃખ ઘીવાલા, યાસ્મીન જમરેશ દોટીવાલાની સમક્ષ કેસની અંતિમ સુનાવણી થી હતી. રેકર્ડ પરના પુરાવા તથા ડેલીગેટ્સ સમક્ષ ચાલેલી સમગ્ર કેસ કાર્યવાહી દરમિયાન પત્ની મહેરાઝબેન તરફની રજૂઆતો તથા પુરાવાને લક્ષમાં લઈને ક્રુરતા આચરનાર પતિથી છુટાછેડા માંગતી અરજી પર મંજુરીની મહોર મારવામાં આવી હતી. કદાચ પારસી કોમના ઈતિહાસમાં સૌ પ્રથમવાર પાંચ જ્યુરી મેમ્બર્સની હાજરીમાં પતિ-પત્નીના છુટાછેડાના કેસનો ચુકાદો પારસી મેટ્રીમોનિયલ કોર્ટે આપ્યો હતો. પારસી જ્યુરીના પાંચ સભ્યોના ડેલીગેટ્સ દ્વારા સુઓ મોટો વાપરીને સગીર પુત્રીના હિત અને કલ્યાણને ધ્યાને લઈને બાળકની કસ્ટડી માતા પાસે રાખવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
શું છે મામલો
વ્યારામાં રહેતા તથા પારસી ધર્મ પાળતા મહેરાઝબેનના લગ્ન ડીસેમ્બર-2009માં સુરત ખાતે રહેતા માર્શલભાઈ સાથે થયા હતા. બેંકમાં નોકરી કરનાર દંપત્તિ વચ્ચે પહેલેથી જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જ્યાં સુધી ટ્રાન્સફર ન મલે ત્યાં સુધી મહેરાઝબેન પિયરમાં જ રહેશે. લગ્નના એકાદ વર્ષમાં એક દીકરીનો જન્મ થયો હતો. પરંતુ 2010માં જ્યારે માર્શલે સુરતમાં ફ્લેટ બુક કરાવ્યો ત્યારથી જ પૈસાની માંગણી સહિતનો ત્રાસ શરૂ થયો હતો. પુત્રી હોવા છતાં પુત્ર જન્મ માટે સાસરિયાઓ તાંત્રિક વિધિઓ કરાવતા અને પતિ સહિત તમામ ત્રાસ ગુજરતા મહેરાઝબેને છુટાછેડાની અરજી કરી હતી.