ભારે વરસાદને લઈને પંચમહાલના હાલોલ નગરના રસ્તાઑ ચંદ્ર જેવા બન્યા છે. જ્યારે સુરતના ઓલપાડમાં લોકોએ ખખડધજ માર્ગથી કંટાળી જઇ સરપંચની આગેવાનીમાં માર્ગને ખોદી નાખ્યો હતો.
કન્યાસી-પીપોદરા બિસ્માર રોડથી લોકો વિફર્યા
સરપંચ સહિતના ગ્રામજનોએ માર્ગ ખોદી નાખ્યો
હાલોલ નગરના રસ્તાઑની પણ સ્થિતિ ખખડધજ
ચોમાસુ મધ્યાન્તરે પહોંચ્યું છે ત્યારએ તોફાની વરસાદે ઠેર ઠેર રોડ પરનો ડામર ધોઈ નાખતા ખરાબ અને કમ્મરતોડ રોડ પ્રજાની પરેશાની બની ગયા છે. તેવામાં પંચમહાલના હાલોલ નગરના રસ્તાઑની પણ સ્થિતિ ખખડધજ બની છે. પંચમહાલ જિલ્લાનું પેરિસ ગણાતું હાલોલ ઉદ્યોગની દ્રષ્ટિએ પ્લાસ્ટિક અને ઓટોમોબાઇલ હબ ગણાય છે. જેને લઈને દિવસભર ઉદ્યોગકારો અને કામદારોની અવરજવર રહે છે.
હલોલમાં રોડ પર ખાડાની આસપાસ મુકાયા મસમોટા પથ્થરો
એક તરફ હાલોલ નગરને વિકાસનું પર્યાય બતાવવામાં આવે છે તો બીજી તરફ ખરાબ અને અતિ બિસ્માર રોડ રસ્તાઓ લોકોના મણકા ખસેડી રહ્યા છે. હાલોલના નવજીવનથી જ્યોતિ સર્કલ, વડોદરા રોડ અને હાલોલ શામળાજી જે ટોલ રોડ છે તે તમામ રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. અહીં એટલા મોટા અને જીવલેણ ખાડા પડયા છે કે તેના પરથી પસાર થતા જ જાણે મંગળ ગ્રહ પર જતાં હોય તેવી અનુભૂતિ થાય છે. હાલોલ નગરને શામળાજી હાઈ વે સાથે જોડતો માર્ગ તો એટલો બિસ્માર છે કે અહીં મસમોટા પથ્થરો ખાડાની આસપાસ મુકવામાં આવ્યા છે. જેથી લોકમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખાડાને લીધે સર્જાયેલા અકસ્માતમાં ચાર વર્ષના બાળકનું મોત
કોંગ્રેસના યુવા મોરચાના મહામંત્રી ખરાબ રસ્તાઓનો ભોગ બન્યા છે. જેને લઈને તેમને હાથ અને પગમાં ફ્રેક્ચર થયુ હતું. આ મામલે તેઓએ પોલીસને અરજી રૂપે ફરિયાદ આપી છે. મહત્વનું છે કે ખરાબ રસ્તાને કારણે બનેલા અન્ય એક અકસ્માતમાં તો ચાર વર્ષના માસૂમ બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
કન્યાસી ગામના સરપંચ સહિતના ગ્રામજનો રોષે ભરાયા
વધુમાં ઓલપાડ તાલુકાના કન્યાસી પીપોદરાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા હતા. આ મામલે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવતા કન્યાસી ગામના સરપંચ સહિતના ગ્રામજનો રોષે ભરાયા હતા અને રસ્તો ખોદી નાખ્યો હતો.
રસ્તાનું રીપેરીંગ કામ નહીં થાય તો ખાડાઓમાં વૃક્ષારોપણ કરવાની ચીમકી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કન્યાસીના ગ્રામજનો કન્યાસી-પીપોદરા બિસ્માર રોડથી પરેશાન થઈ વિફર્યા હતા. જોકે આ બાબતે કન્યાસી ગામના સરપંચ કોમલ મૈસુરીયા, ઉપસરપંચ અતુલ પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ માંગરોળ તાલુકાની પીપોદરા ગ્રામ પંચાયત અને સુરત માર્ગ અને મકાન વિભાગને વિરોધ દર્શક સામુહિક સહી કરી રજુઆત કરી ચીમકી આપી છે કે,જો આગામી તા.25 ઓગસ્ટ સુધીમાં આ રસ્તાનું રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તો અમો આ બિસ્માર રોડના ખાડાઓમાં વૃક્ષારોપણ કરી રસ્તો બંધ કરી દઈશું. જેના પગલે બંન્ને તાલુકાના ગ્રામ પંચાયતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અને તંત્ર દોડતું થયું છે.