રાજ્યમાં સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તેવામાં કોરોનાના નવા સ્ટ્રેનને લઇને સુરત મનપા કમિશનર બંછાનીધિ પાનીએ સુરતવાસીઓને ચેતવ્યા છે.
સુરતમાં રહેતા લોકો માટે ચિંતાજનક સમાચાર
કોરોનાનો નવો સ્ટ્રેઇન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે
નવા સ્ટ્રેનમાં કોરોનાના નવા લક્ષણ દેખાયા: કમિશનર
સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી ચિંતા વધી છે. કોરોનાના નવા સ્ટ્રેનમાં લક્ષણો પણ બદલાયા છે. શહેરમાં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. નવા સ્ટ્રેઇનના લક્ષણ એક સભ્યમાં દેખાય એટલે પરિવાર પણ સંક્રમિત થાય છે. આ અંગે મનપા કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે હાલ તો માસ્ક વગર બીજો કોઈ વિકલ્પ નથી. તથા તંત્ર દ્વારા વેક્સિનને લઈને લોકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તે માટે દરેક ઝોનમાં 25 જેટલી રીક્ષા પણ મૂકવામાં આવી છે. આ સાથે એરપોર્ટ તથા ટોલ નાકા પર 100 ટકા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ ઝોનમાં અલગ અલગ અધિકારીની નિમણૂંક પણ કરવામાં આવી રહી છે.
નવા સ્ટ્રેનમાં કોરોનાના નવા લક્ષણ દેખાયા: કમિશનર
મનપા કમિશનર દ્વારા નવા સ્ટ્રેન અંગે પણ જણાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, તાવ આવવો, શરીર દુઃખવુ અને પેટમાં દુઃખવુ તે નવા સ્ટ્રેનના કોરોના લક્ષણો હોવાનું જણાવવામાં આવ્યુ હતું.
સુરત શહેરમાં કોરોનાના સંક્રમણ સાથે 3 દર્દીઓમાં વિદેશી સ્ટ્રેઇનના લક્ષણો
સુરત શહેરમાં UK અને આફ્રિકન વાયરસના દર્દીઓ સામે આવી ચૂક્યા છે. જેમાં વિદેશ સ્ટ્રેનના લક્ષણો જણાયા છે. ત્યારે સુરતમાં વિદેશી સ્ટ્રેનના લક્ષણ ધરાવતા દર્દીઓ સામે આવતા ચિંતામાં વધારો થયો છે. જેને લઇને સુરતમાં માસ્ક પહેરવા મનપા કમિશનરે અપીલ કરી છે. તો ટોળાશાહીથી દુર રહેવા પણ કહ્યું છે.
સુરતમાં બપોર સુધીમાં 290 કેસ નોંધાયા
સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં 290 કેસો સામે આવ્યા છે. સુરત શહેરમાં બપોર સુધીમાં 225 કેસ અને સુરત ગ્રામ્યમાં બપોર સુધીમાં 65 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં સુરત શહેર-ગ્રામ્યમાં કુલ 57,877 કેસ નોંધાયા છે.