ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર સતત યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે સુરત શહેરમાંથી હીરા ઉદ્યોગને લઇને માંઠા સમાચાર સામે આવ્યાં હતા. જેમાં છેલ્લા 21 દિવસમાં શહેરમાં અંદાજે 250 રત્નકલાકારો કોરોના વાયરસનો ભોગ બન્યાં હોવાનું સામે આવ્યું હતું. આમ રત્નકલાકારોમાં કોરોનાનું સંક્રમણ વધતાં મહાનગરપાલિકા એકશનમાં જોવા મળી છે.
રત્નકલાકારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ એક્શનમાં SMC
SMC અને ડાયમંડ એસોસિયેશન માટે બનાવ્યાં નિયમો
ડાયમંડ યુનિટમાં કેસ આવશે તો એક સેક્શન બંધ કરાશે
સુરત શહેરમાં રત્નકલાકારોમાં કોરોનાનું સંક્રમણ વધતાં મહાનગરપાલિકા એકશનમાં જોવા મળી રહી છે. શહેરના મેયર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં આવેલી ડાયમંડ ફેકટરીઓને લઇને કેટલાંક નિયમો અંગેની જાણકારી આપી હતી. સુરત મહાનગરપાલિકા અને ડાયમંડ એસોસિએશને નિયમો બનાવ્યાં.
આ અગાઉ સુરત મહાનગરપાલિકા અને ડાયમંડ એસોશિએશન વચ્ચે એક બેઠક યોજાઇ હતી. જેને લઇને સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ નવા નિયમો અંગેની જાણકારી આપી.
ડાયમંડ યુનિટમાં કેસ આવશે તો એક સેક્શન બંધ કરાશે
3થી વધુ કેસ આવશે, તો યુનિટ બંધ કરાશે
AC અને કેન્ટીન સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે
લોકો શિફ્ટમાં કામ કરે તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશે
ડાયમંડ વર્કરને ગરમ પાણી આપવામાં આવશે
સેફ વોલ્ટ શનિવાર અને રવિવારે બંધ રહેશે
કારીગરો માસ્ક પહેરેએ ખાતરી કરવા ચેકિંગ પણ કરાશે
કારીગરો યુનિટમાં પ્રવેશે ત્યારે કોરોનાની માહિતી આપવાની રહેશે
સુરતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. રત્નકલાકારો વધુમાં વધુ કોરોનાની ઝપેટમાં આવતા હીરા ઉદ્યોગ માટે મુશ્કેલી ઉભી થઇ છે. છેલ્લા 21 દિવસમાં 250 રત્ન કલાકાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાતે આઠ વાગ્યા સુધીના આંકડા પર નજર નાંખીએ તો ગુજરાતમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતાં. જેમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 580 પોઝિટિવ નોંધાયા હતા. જેમાં સુરત માટે સૌથી ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી. સુરતમાં કોરોનાનાં 176 કેસો નોંધાયા હતા.